હર્ષસંઘવીની નાગરિકો સાથે સારા વર્તનની સલાહ 24 કલાક ના ટકી:અમદાવાદમાં પોલીસ કર્મીની ગુંડાગીરી, રસ્તા પર મહિલાને લાફા મારી લોહી કાઢ્યું


હજી બે દિવસ પહેલા જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ‘ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ અને તેમની ચાલ બદલાવવી જોઈએ, જો ગુનેગાર ડરે તેમાં કંઈ જ ખોટું નથી…’ તેવી વાત કરી હતી. પરંતું તેમની શિખામણ માત્ર ગુનેગારોને જ લાગુ પડે છે, જો કોઈ અધિકારી આવી હરકત કરે તો તેના પર શું એક્શન લેવાય. શું અધિકારીની સર્વિસ કરીને તેનું સરઘસ કાઢવામાં આવે. આવા સવાલો અમદાવાદની એક ઘટના પરથી થયા છે. જેમાં અમદાવાદમાં રસ્તા પર એક પોલીસ કર્મી દ્વારા મહિલાને જાહેરમાં માર મારવામાં આવ્યો.
અમદાવાદમાં પોલીસ કર્મી દ્વારા મહિલાને માર મારતો વીડિયો તેજીથી વાયરલ થયો છે. અમદાવાદમાં અંજલી ચાર રસ્તા પાસેનો બનાવ છે. જેમાં મહિલા ટુ વ્હીલર ચાલકને રોક્યા બાદ ઘટના બની હોવાનું કહેવાય છે. મહિલા અને પોલીસ કર્માની વાતચીત બાદ પોલીસ કર્મચારી ગુસ્સે થયો હતો. અને તેણે મહિલાને જાહેરમાં માર માર્યો હતો.
વાત કોઈ પણ હોય પણ સરકારના જવાબદાર અધિકારી અને પોલીસ કર્મચારીએ આ રીતે હાથ ઉપડવો ન જોઈએ. પોલીસ કર્મચારીનું આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય કહેવાય. મહિલા સુરક્ષાની વાત વચ્ચે રક્ષણ આપતી પોલીસ ના કર્મચારી દ્વારા હાથ ઉપાડતા મહિલા સુરક્ષા પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. નિયમ ભંગ હોય તો મેમો આપવો જોઈએ, પરંતું હાથ ઉપડવો તે અયોગ્ય છે.
મહિલાએ કંઈક કહેતાં પોલીસકર્મી ઉશ્કેરાયો હતો. બેફામ પોલીકર્મીએ મહિલાને તમાચો માર્યો હતો. સાથીકર્મી દ્વારા રોકવા છતાં દાદાગીરી કરતો પોલીસકર્મી વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. હાથમાં લાકડી પકડીને ડરાવતો પોલીસકર્મી કેમેરામાં કેદ થયો છે.
વાત આટલે અટકી ન હતી. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પીઆઇએ મહિલાની ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી.
તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને સૂચન અને સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુનેગારોના પગ ધ્રુજી જવા જોઈએ. ગુનેગારોની ચાલ બદલી જવી જોઈએ. ગુનેગારોના પગ ધ્રુજે અને ચાલ બદલાઈ જાય એમાં કંઈ ખોટુ નથી. સામાન્ય નાગરિકને ડર નહીં પણ ગુનેગારને ડર રહેવું જોઈએ. ગુનેગારો સામે હજુ મજબુતાઇથી અને કડકાઈથી કામ કરવું પડશે. હર્ષ સંઘવીએ પોલીસને સૂચન આપતા જણાવ્યું હતું કે, જો સમાજમાં શાંતિ જાળવવી હોય તો ગુનેગારોના મનમાં કાયદાનો ડર હોવો અનિવાર્ય છે. તેમણે કહ્યું કે ગુનેગારોના પગ ધ્રુજી જવા જોઈએ અને તેમની ચાલ બદલાઈ જવી જોઈએ, જો ગુનેગાર ડરે તો તેમાં કંઈ જ ખોટું નથી. સામાન્ય નાગરિકને ડરવાની જરૂર નથી, પણ ગુનેગારને પોલીસનો ખોફ રહેવો જ જોઈએ.” તેમણે પોલીસને હજુ વધુ મજબૂતાઈ અને કડકાઈથી ગુનેગારો સામે કામ કરવા તાકીદ કરી છે.




