સુપ્રીમ કોર્ટમાં વકીલે CJI પર જૂતુ ફેંકવાનો કર્યો પ્રયાસ; શરમજનક ઘટના પર ચીફ જસ્ટિસે આપ્યો જવાબ


સુપ્રીમ કોર્ટમાં એક વકીલે મુખ્ય ચીફ જસ્ટિસ (CJI) બીઆર ગવઇની બેન્ચ સામે નારેબાજી કરી હતી અને જૂતો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં બનેલી શરમજનક ઘટના પર CJIએ પણ પોતાનો જવાબ આપ્યો છે. CJIએ કહ્યું કે, આવી વસ્તુથી કોઇ ફરક નથી પડતો. બીજી તરફ વિપક્ષે પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
સુપ્રીમ કોર્ટમાં જે સમયે આ શરમજનક ઘટના બની ત્યારે વકીલ CJI ગવઇના નેતૃત્ત્વ ધરાવતી બેન્ચ સામે કેસનો ઉલ્લેખ કરતો હતો.સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું કે આ દરમિયાન એક વકીલ બેન્ચના સ્ટેજની નજીક આવી ગયો અને તેને જૂતું કાઢીને જજ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, કોર્ટમાં હાજર સુરક્ષાકર્મીઓએ વકીલને પકડી લીધો હતો અને તેને કોર્ટની બહાર લઇ ગયા હતા.
CJI ગવઇએ શું કહ્યું?
વકીલે કોર્ટની બહાર જતા સમયે નારેબાજી કરતા કહ્યું, ‘સનાતન ધર્મનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન.’જોકે, CJI ગવઇએ આ ઘટના પર વધુ ધ્યાન આપ્યું નહતું અને વકીલોને તેમની દલીલ કરવા કહ્યું હતું. CJIએ વકીલોને કહ્યું, ‘આ બધી વસ્તુઓને કારણે ધ્યાન ભટકાવવાની જરૂર નથી, આપણે તેનાથી વિચલિત થતા નથી. આવી વસ્તુની મારા પર કોઇ અસર નહીં થાય.’
શું સાચે વકીલે જૂતું ફેકવાનો પ્રયાસ કર્યો?
કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વકીલે પોતાનો જૂતો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે કેટલાકનું કહેવું છે કે વકીલ જૂતુ ઉતારવાની જગ્યાએ કાગળને લહેરાવતા કંઇક કહેવાનો પ્રયાસ કરતો હતો.
આ ઘટના ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિ સાથે જોડાયેલી ચીફ જસ્ટિસ બીઆર ગવઇની ટિપ્પણી સાથે જોડાઇને જોવામાં આવી રહી છે.




