National

‘વિપક્ષે મહિલાઓના અધિકારો છીનવ્યા, પરિણામ ભોગવવા પડશે’; PM MODI

મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું કે, વિપક્ષે આ બિલને સમર્થન ન આપીને મોટી ભૂલ કરી છે અને હવે તેમણે તેના પરિણામો ભોગવવા પડશે.

બંધારણ (131મો સુધારો) બિલ, જેનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાનો હતો, તે લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ગુરુવારથી શુક્રવાર મધ્યરાત્રિ સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ થયેલા મતદાનમાં બિલની તરફેણમાં 298 મત પડ્યા હતા, જ્યારે 230 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો.

PM મોદીની ગેરંટી અને વિપક્ષનો ડર

વિપક્ષી પાર્ટીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, સીમાંકન પછી દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. જોકે, પીએમ મોદીએ સંસદમાં ખાતરી આપી હતી કે લોકસભાની બેઠકો 543 થી વધીને 816 થશે ત્યારે કોઈ પણ રાજ્ય સાથે અન્યાય નહીં થાય. તેમણે આ બિલને રાજકીય ચશ્માથી ન જોવા અને રાષ્ટ્રહિતમાં જોવા અપીલ કરી હતી. પીએમ મોદીએ કેબિનેટમાં સ્પષ્ટ કર્યું છે કે આ સંદેશ દેશના ખૂણે ખૂણે અને દરેક ગામડા સુધી પહોંચવો જોઈએ કે વિપક્ષે મહિલાઓના અધિકારો છીનવ્યા છે.

રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ

રાહુલ ગાંધી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સરકાર મહિલા અનામતનો ઉપયોગ ચૂંટણી નકશાને પોતાની તરફેણમાં બદલવા માટે કરી રહી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રા: તેમણે આ બિલની હારને વિપક્ષી એકતાની જીત ગણાવી હતી.
કિરણ રિજિજુ: કેન્દ્રીય મંત્રીએ આ ઘટનાને કોંગ્રેસ અને તેના સહયોગીઓ પર કાળો ડાઘ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે દેશની મહિલાઓ આનો બદલો લેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button