National

અયોધ્યાની રામનગરીમાં 11 મહિનામાં ₹10 કરોડની સુરક્ષા છતાં ક્યાં થઈ ચૂક? SIT તપાસનો દાયરો વધ્યો

અયોધ્યાની રામનગરીમાં આ દિવસોમાં શ્રદ્ધા અને સવાલો બંને એકસાથે ચર્ચામાં છે. એક તરફ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ભગવાન રામલલાનું ભવ્ય મંદિર છે, તો બીજી તરફ તે જ પરિસરમાં ચાલી રહેલી તપાસે નવી જિજ્ઞાસાઓ જગાવી છે. રામ મંદિરમાં કથિત ચોરી અથવા નાણાકીય અનિયમિતતા મામલે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની તપાસનો દાયરો હવે ઝડપથી વધી રહ્યો છે, જેમાં સુરક્ષા અને વહીવટી તંત્ર સાથે જોડાયેલા જવાબદાર લોકોની ભૂમિકા પણ ખંગાળવામાં આવી રહી છે.

આ તપાસમાં અત્યાર સુધી રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવનું નામ સૌથી મોટું રહ્યું છે. પરંતુ, હવે તપાસ એજન્સીઓનું ધ્યાન સીસીટીવી (CCTV) અને ટેકનિકલ દેખરેખ સંભાળતા રેડિયો મેન્ટેનન્સ ઓફિસર (RMO) પર કેન્દ્રિત થયું છે. આ અધિકારી છેલ્લા 17 વર્ષથી કોઈ પણ પ્રકારની બદલી વગર આ જ પરિસરમાં તહેનાત છે. SIT હવે એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે આટલા લાંબા સમય સુધી એક જ સ્થાને તેમની નિમણૂક પાછળ કયા સંજોગો જવાબદાર હતા. હાલમાં સીસીટીવી કેમેરાની કામગીરી, બેકઅપ સિસ્ટમ, ડેટા પ્રોટેક્શન, ડિજિટલ રેકોર્ડ અને પેન ડ્રાઈવ જેવા તમામ ટેકનિકલ દસ્તાવેજોની ઝીણવટભરી પડતાલ કરવામાં આવી રહી છે.

સૌથી મોટો સવાલ: 10 કરોડની સુરક્ષા છતાં ક્યાં થઈ ચૂક?

રામ મંદિર દેશના સૌથી સુરક્ષિત ધાર્મિક સ્થળોમાંનું એક છે, જ્યાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને આધુનિક દેખરેખ તંત્ર ઉપલબ્ધ છે. સરકારી આંકડા મુજબ, છેલ્લા 11 મહિનામાં જ મંદિર પરિસરની સુરક્ષા પાછળ આશરે ₹10 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આટલી મજબૂત વ્યવસ્થા અને કરોડોના ખર્ચ છતાં પણ જો દાનપેટી કે ચઢાવામાં ગેરરીતિ થઈ હોય, તો તે કેવી રીતે શક્ય બની? આ સવાલે સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે. આ ઉપરાંત, મંદિરમાં પ્રવેશ માટે આપવામાં આવતા ‘સ્પેશિયલ પાસ’ની વ્યવસ્થા પણ તપાસના દાયરામાં છે કે શું કોઈએ નિયમોમાં ઢીલ આપીને આ વ્યવસ્થાનો દુરુપયોગ કર્યો છે કે નહીં.તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાનની ગણતરીનો એક વીડિયો વાઇરલ થતાં જ ચર્ચાઓ વધુ તેજ બની છે. જોકે, તપાસ અધિકારીઓ આ વીડિયોને અંતિમ સત્ય માનવાને બદલે તેને અન્ય કડીઓ સાથે જોડી રહ્યા છે. SIT દ્વારા આ કેસમાં આશરે 200 લોકોની પૂછપરછ કરવાનું આયોજન છે, જેમાંથી અત્યાર સુધીમાં 125થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. વિરોધાભાસ દૂર કરવા માટે કેટલાક કર્મચારીઓને ફરીથી બોલાવીને તેમના નિવેદન ક્રોસ-ચેક કરવામાં આવી રહ્યા છે.

મંદિર ટ્રસ્ટના જવાબદાર હોદ્દેદારો અને તેમની વહીવટી ભૂમિકા

SITની ટીમ આ અખા વહીવટી માળખાની કાર્યપ્રણાલીને સમજવા માટે ટ્રસ્ટના પ્રમુખ સભ્યોના કાર્યો અને જવાબદારીઓની પણ સમીક્ષા કરી રહી છે. ટ્રસ્ટની મુખ્ય સંરચના નીચે મુજબ છે:

મહંત નૃત્યગોપાલ દાસ (અધ્યક્ષ): મહત્ત્વની બેઠકો અને કાર્યોમાં પ્રતિનિધિત્વ કરવું.
ચંપતરાય (મહામંત્રી): ઓડિટ સમિતિના અધ્યક્ષ અને તમામ પ્રકારના આયોજનોનું સંચાલન જોવું.
સ્વામી ગોવિંદદેવ ગિરી (કોષાધ્યક્ષ): ફાઇનાન્સ કમિટીના હેડ તરીકે દાન સહિતના તમામ નાણાકીય વ્યવહારોનું સંચાલન કરવું.
નૃપેન્દ્ર મિશ્ર (સભ્ય): મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ તરીકે કાર્યોની સમીક્ષા કરવી.
સ્વામી વિશ્વપ્રસન્નતીર્થ (સભ્ય): ધાર્મિક સમિતિના અધ્યક્ષ તરીકે બેઠકોમાં ભાગ લેવો.
ડૉ. અનિલ કુમાર મિશ્ર (સભ્ય): તમામ પ્રકારના વહીવટી (એડમિનિસ્ટ્રેટિવ) કાર્યોની જવાબદારી સંભાળવી.
ગોપાલ રાવ (વિશેષ આમંત્રિત સભ્ય): રામ મંદિર સાથે જોડાયેલું સમગ્ર મેનેજમેન્ટ અને દર્શન તેમજ આરતી પાસની વ્યવસ્થા જોવી.

તપાસ એજન્સીઓએ હજુ સુધી ટ્રસ્ટના કોઈ વરિષ્ઠ પદાધિકારીની ભૂમિકા અંગે સત્તાવાર ટિપ્પણી કરી નથી, પરંતુ ચોથા દિવસની તપાસ બાદ એટલું સ્પષ્ટ છે કે મામલો માત્ર સામાન્ય ચોરીનો નથી. સિસ્ટમની સુરક્ષા, દેખરેખ અને વહીવટી પ્રક્રિયાઓની પણ ઊંડી તપાસ થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button