રાજસ્થાનમાં PMએ દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યુ:મોદીએ કહ્યું- ભારત 21મી સદીના સૌથી મોટા ઉર્જા સંકટમાંથી બહાર આવ્યું


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવારે) રાજસ્થાનની મુલાકાતે છે. તેઓ બલોતરાના પચપદરા ખાતે બપોરે લગભગ 12 વાગ્યે પહોંચ્યા હતા. ત્યાં તેમણે દેશની અત્યાધુનિક રિફાઇનરીના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું અને નિષ્ણાતો સાથે વાતચીત કરી. બાલોતરાના પચપદરામાં PMએ દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યુ.. તેમણે જયપુર મેટ્રોના ફેઝ-2નો શિલાન્યાસ પણ (વર્ચ્યુઅલ) કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે લગભગ 10.40 વાગ્યે જોધપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને નવી સુવિધાનું નિરીક્ષણ કર્યું. તેમણે ‘ઉડાન’ (UDAN) યોજનાનો પણ શુભારંભ કર્યો અને આ પહેલ અંગેનું પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
મોદીએ કહ્યું- હું રાજસ્થાનની ધરતીનો ઋણી છું
વડાપ્રધાન મોદીએ કહ્યું, આ કાળઝાળ ગરમીમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું ભેગુ થવું એ ભાજપ સરકારના પ્રયાસોમાં તમારા અતૂટ વિશ્વાસને દર્શાવે છે. આ સમર્થન બદલ હું રાજસ્થાનની ધરતીનો ઋણી છું.
આજે, રાજસ્થાનની આ જ ધરતી પરથી ભારતે વિકસિત અને આત્મનિર્ભર બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ દિવસ એ વાતનો સાક્ષી છે કે ભાજપની સરકારો માત્ર પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરીને અટકી જતી નથી. અમે તે પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે રાત-દિવસ કામ કરીએ છીએ.
વડાપ્રધાને કહ્યું- બે મહિના પહેલા રિફાઇનરીમાં થયેલી દુર્ઘટના બાદ આટલી ઝડપથી કામ પૂર્ણ કરવું એ સખત પરિશ્રમનું પરિણામ છે. સૌએ સાબિત કરી દીધું છે કે પડકાર ગમે તેટલો મોટો હોય, ‘નવું ભારત’ ન તો પોતાના સંકલ્પથી ડગે છે અને ન તો પોતાની ગતિ ધીમી પાડે છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે યુદ્ધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને લીધે રાંધણ ગેસના ભાવ ₹2,000 સુધી પહોંચી શક્યા હોત. સરકારે આ પરિસ્થિતિનું અસરકારક રીતે સંચાલન કર્યું અને પરિણામે સિલિન્ડર ₹950ની આસપાસના ભાવે મળી રહ્યો છે.
આ જ વર્ષે 20 એપ્રિલે રિફાઇનરીના બે ભાગો ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) અને વેક્યુમ ડિસ્ટિલેશન યુનિટ (VDU) માં આગ લાગી હતી. આ ઘટના 21 એપ્રિલે રિફાઇનરીના ઉદ્ઘાટન પહેલાના એક દિવસ પહેલા બની હતી. દુર્ઘટના બાદ પીએમ નરેન્દ્ર મોદીનો અહીં આવવાનો કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.




