ગુજરાતમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિને લઈ થઈ ઉચ્ચસ્તરીય બેઠક, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા


ગુજરાતમાં જ્યાં શિયાળો શરૂ થવાની રાહે સૌ બેઠા છે, ત્યાં મેઘરાજા હજી વરસી રહ્યા છે. આ દરમિયાન માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિને લઈ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક થઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા દરમિયાન જ્યાં નુકસાન થયું છે ત્યાં યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરીને સ્થિતિ પૂર્વવત કરવા મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન આપ્યું. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રીપેરીંગ કામગીરી ચાલુ રહે તે માટે તાકીદ કરી હતી. ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ દરમિયાન જે માર્ગો-પુલોને નુકસાન થાય તેવા કિસ્સામાં ઈજારદારની જવાબદારી ફિક્સ થવી જોઈએ તેવું જણાવ્યું હતુ. નગરો મહાનગરોમાં વોટર લોગીંગ-અન્ડરબ્રીજમાં પાણી ભરાવા જેવી સમસ્યાના કાયમી નિવારણ માટે લાંબાગાળાના ઉપાયો યોજવા પ્રેરક સૂચન મુખ્યમંત્રીએ આપ્યું હતુ. સાથે કામોમાં ગુણવત્તા જળવાય-પ્રજાજનોના જન જીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો આપ્યા હતા.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી છે. વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા.
મુખ્યમંત્રીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશા નિર્દેશો તેમણે બેઠકમાં આપ્યા હતા.
તેમણે કહ્યું કે, જે કામોમાં ડિફેક્ટ લાયાબીલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જોઈએ. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ એવી પણ તાકીદ કરી હતી કે કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.
રાજ્યની મહાનગરપાલિકાઓ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતા. એટલું જ નહિ, શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ એમણે સૂચવ્યુ હતું.
મુખ્યમંત્રીએ મરામત કામોમાં NHAI, માર્ગ મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી માટેના સૂચનો પણ કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો-નાળા કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવાવી જોઈએ.
આ હેતુસર ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત 24×7 કંટ્રોલ રૂમને માહિતી મળે કે તુરંત જ સંબંધિત અધિક્ષક, કાર્યપાલક, નાયબ ઈજનેરને સ્થળ પર જઈને મરામત માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માર્ગો-પુલો – હાઇવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.
જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટા ભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. 243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરાય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ હાઈવેની સ્થિતિ અંગે NHAIના અધિકારીઓએ કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવેને જે 83 કિ.મી.માં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં મરામત કામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે.
દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યુ કે, રાજ્ય સરકાર નાગરિકોના જનજીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે કોઈ રૂકાવટ આવે નહીં અને કામો સમયબદ્ધ ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ માટે સંબંધિત વિભાગો પણ તત્કાલ મરામત કામો હાથ ધરીને લોક અપેક્ષા સંતોષે તેવી સૂચના તેમણે આપી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ, કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ, મુખ્યમંત્રી




