ઈન્ડિયાની સા. આફ્રિકા સામેની T20 સિરીઝ માટે ટીમ જાહેર:હાર્દિક અને ગિલ કમબેક કરશે


સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. જસપ્રીત બુમરાહને વન-ડેમાંથી આરામ આપીને T20માં સામેલ કરવામાં આવ્યો. હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની પણ ટીમમાં વાપસી થઈ. T20 સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે.
BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગેની જાણકારી આપી. બુધવારે જ રાયપુરમાં બોર્ડે T20 વર્લ્ડ કપ માટે જર્સી પણ લોન્ચ કરી.
T20 ટીમની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવ કરશે. વાઇસ કેપ્ટન શુભમન ગિલ લગભગ બે અઠવાડિયા પછી વાપસી કરશે. જોકે, ફિટનેસ ક્લિયરન્સ મળ્યા પછી જ તે મેચ રમી શકશે. કોલકાતા ટેસ્ટમાં તેને ઈજા થઈ હતી. હાર્દિક પંડ્યા પણ 73 દિવસ પછી ટીમમાં પરત ફરી રહ્યો છે. તેને એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ઈજા થઈ હતી.
T20 સિરીઝ માટે ઈન્ડિયન ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદર.
BCCIએ 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી પણ લૉન્ચ કરી. રાયપુરમાં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાની હાજરીમાં જર્સી લૉન્ચ થઈ. આ દરમિયાન T20 ટીમના તિલક વર્મા અને ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા પણ હાજર રહ્યા.
હાર્દિક પંડ્યા એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો. સપ્ટેમ્બરમાં સુપર-4 મેચ દરમિયાન લાગેલી ઈજાને કારણે તે 28 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ફાઈનલ રમી શક્યો નહોતા. તેમ છતાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે જીત નોંધાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
હાર્દિકે પરત ફરી સારું ફોર્મ બતાવ્યું છે. એક દિવસ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ સામે તેણે અણનમ 77 રન બનાવ્યા અને બરોડાને જીત અપાવી. બોલિંગમાં તેણે 4 ઓવરમાં 52 રન આપીને 1 વિકેટ લીધી.




