GUJARAT

PM મોદી સુરતમાં: દ.ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે. સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ દેશમાં જ તૈયાર થઈ રહેલી અત્યાધુનિક લાઈટ વેઈટ ‘જોરાવર’ ટેન્ક સહિતના અન્ય સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. હજીરાની હથિયાર ફેક્ટરીમાં ડિફેન્સ સાધનોની સમીક્ષા કર્યા બાદ પીએમ મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે, જ્યાં તેઓ વિશાળ જનમેદનીને સંબોધિત કરી રહ્યા છે.

પીએમ મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી ડિજિટલ માધ્યમ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલવા જઈ રહ્યા છે. આજના આ ઐતિહાસિક દિવસે વડાપ્રધાનના વરદહસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓને અંદાજીત 18,778 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે.

વડાપ્રધાન મોદીએ ‘કેમ છો બધા, આપણું સુરત મજામાં ને’ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. પીએ મોદીએ કહ્યું હતું કે, આ સુરત શહેર નથી. સુરત એક સ્પીરીટ છે. પર્યાવરણને લઈને લોકોએ સરસ પોસ્ટરો બનાવ્યા છે. જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ત્યારે તેમનું મન લાગ્યું હશે. આપણા કાઠિયાવાડના લોકો અહીં સુરતમાં રહે છે. મારો તેમને આગ્રહ છે કે ખેતર બચાવો અભિયાનમાં જોડાય. સુરતવાસીઓએ મને ખૂબ સરસ ભેટ આપી છે. એક લાખ લોકોએ પાંચ દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું મારા માટે આ મોટામાં મોટી સોગાત છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હું પહેલીવાર ગુજરાત આવ્યો છું અને સુરતમાં આવ્યો છું. હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છું અને અભિનંદન કરૂ છું. અઢી દશકથી વધુનો સમય થયો છે. તમે અમને સૌને ભાજપને નિરંતર પોતાના આશિર્વાદ આપી રહ્યાં છે. સમયની સાથે આ આશિર્વાદ વધતા રહ્યા છે.  લોકોએ ભાજપને એટલા મત આપ્યા કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. આજે મારા રેકોર્ડ પણ તમે બધાએ તોડી નાંખ્યા છે. હું રાજનીતિમાં ખૂબજ મોડો આવ્યો હતો. ત્યાર બાદ પ્રથમ ચૂંટણી હતી. એ ચૂંટણીમાં ભાજપે સૌથી મોટો વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યારથી આજ સુધી આ વીજયની યાત્રા ચાલી રહી છે.  

દુનિયાના લોકતાંત્રિક સમાજમાં આવું ખૂબ ઓછું જોવા મળે છે. કોઈ પણ પાર્ટીને જનતાના આશિર્વાદ અને સેવાનો અવસર મળવો મોટી વાત છે. અહીં સુરત અને નવસારીના અનેક ચૂંટાયેલા જનપ્રતિનિધિ આવ્યા છે તેમને હું શુભકામનાઓ આપું છું. ગુજરાતની જનતાએ સેવાભાવને સમર્થન આપ્યું છે. સેવાના આ મિશનને વધુ વિસ્તાર કરવા આપણે વધુ પરિશ્રમ કરવાનો છે. આપણો સંક્લ્પ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાનો છે.  સુરત સમગ્ર દેશમા સતત સ્વચ્છતાના એવોર્ડ પ્રાપ્ત કરે છે. શહેર આજે પણ સફાઈના અભિયાનને પ્રાથમિકતા આપે છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button