”નોટિસ અપાઇ છે”, સેવન્થ ડે સ્કૂલમાં મારામારી મુદ્દે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન


અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલા મારામારીના બનાવને લઈને રાજ્યના શિક્ષણમંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સ્કૂલ વિરુદ્ધ મળેલી ફરિયાદને ગંભીરતાથી લઈ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે આ કેસની તપાસની જવાબદારી શિક્ષણ નિરીક્ષકને સોંપવામાં આવી છે. શાળાની કામગીરી, ઘટનાક્રમ અને ફરિયાદ સંબંધિત તમામ મુદ્દાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સંબંધિત શાળાને નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે ઘટનાની જાણ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને સમયસર કરવામાં આવી હતી કે નહીં, તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ પ્રકારની બેદરકારી અથવા નિયમોનું ઉલ્લંઘન સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
અમદાવાદની બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલ એકવાર ફરી વિવાદમાં આવી ગઈ છે. આ વખતે મામલો વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીનો છે. સ્કૂલના ધોરણ 7ના વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓને માર માર્યાની ફરિયાદ વાલીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં આ જ સ્કૂલમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે ફરી એક વાર વિદ્યાર્થી સાથે હિંસાનો કેસ સામે આવતા સેવન્થ ડે સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતામાં મૂકાઈ ગયા છે.
માહિતી પ્રમાણે, સ્કૂલમાં ભણતા ધોરણ 7ના એક વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ બાથરૂમમાં લઈ જઈને માર માર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં વાલીએ ફરિયાદ નોંધાવતા ઘટના પ્રકાશમાં આવી છે. ફરિયાદ પ્રમાણે, ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ માર મારીને શર્ટના બટન તોડી નાખ્યા. મોનિટર વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું. આ વાતને લઈને ત્રણ વિદ્યાર્થીઓએ અદાવત રાખી હતી. ત્યારે આદવતમાં ત્રણ વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે વાલીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હાલમાં સેવેન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક છે. ત્યારે આ મામલો સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કડક કાર્યવાહી કરતાં સેવન્થ ડે સ્કૂલના આચાર્ય અને એડમિન હેડને નોટિસ ફટકારી છે. DEOએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કસૂરવાર હશે તો શાળાના આચાર્ય અને એડમિન હેડ સામે પણ કાર્યવાહી થશે. આ ઘટનાની જાણ થતાં જ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વાલીઓનું કહેવું છે કે શાળાની અંદર બાથરૂમ જેવી જગ્યાએ આવી ઘટના બને એ શાળાની સુરક્ષા વ્યવસ્થા પર મોટો સવાલ ઊભો કરે છે.




