સી આર પાટીલનો AAPને પડકાર, ‘ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો જાળવી બતાવો’


સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની આવતી ચૂંટણીને લઈને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે વોર્ડ નંબર 23, 24, 28, 29ના કાર્યકર્તાઓ સાથે ‘ચા પે ચર્ચા’ કરી હતી. સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી હતી. પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી હતી કે સુરત મહાનગરપાલિકામાં ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ ચૂંટણીમાં જાળવી બતાવો. પાટીલે કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. ગત ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત થઈ હતી.
પાટીલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ વજુદ નથી. સુરતના પાંડેસરા વિસ્તારમાં યોજાયેલી ચાય પે ચર્ચામાં પાટીલે કોંગ્રેસ અને આપ પર પ્રહારો કર્યા હતા. પાટીલે કહ્યું કે ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જ બતાવે છે કે જનતા ભાજપને વોટ આપે છે. તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા તમામમાં અભૂતપૂર્વ જીત મેળવી હતી.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પક્ષના ઉમેદવારોને લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પ્રચાર માટે આવેલા ઉમેદવારોને સ્થાનિકો સવાલો કરી રહ્યા છે. વોર્ડ નંબર સાતમાં મતદારે પાંચ વર્ષનો હિસાબ માંગી વીડિયો બનાવતા ભાજપના ઉમેદવાર સોનુબેન આંબલિાયા અકળાયા અને યુવકને વીડિયો બનાવતા અટકાવ્યો હતો. પરવત પાટિયાના માધવબાગ વિસ્તારમાં એક જાગૃત મહિલાએ કોંગ્રેસના નેતાને આડેહાથ લેતા તીખા સવાલો કર્યા હતા. ખાડીપુર અને સુવિધાઓના અભાવથી લોકોમાં ઘણો રોષ છે. નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા તો કતારગામમાં ભાજપના ઉમેદવાર એક યુવકના સવાલોથી અકળાયા અને કેમેરો બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો. રહીશોએ સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી કામની ખાતરી નહીં મળે ત્યાં સુધી વોટની આશા રાખવી વ્યર્થ છે. કતારગામ જેવા ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં જનતાનો આવો મિજાજ જોઈને ભાજપ હાઈકામાન્ડમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા.




