‘શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?’,ભાજપ સાંસદ જનાર્દન મિશ્રાના બગડ્યા બોલ


મધ્ય પ્રદેશની રીવા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના (BJP) સાંસદ જનાર્દન મિશ્રા ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. રીવા એરપોર્ટ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈથેનોલ મિશ્રણ અને શુદ્ધ પેટ્રોલની માંગ કરનારાઓ પર તેમણે જાહેર મંચ પરથી અત્યંત મર્યાદાહીન ટિપ્પણી કરી હતી.
વાસ્તવમાં, રીવા એરપોર્ટ પર કોલકાતા-રીવા-ભોપાલ હવાઈ સેવાનો પ્રારંભ કરાવવા માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને વિકાસકાર્યોની પ્રશંસા કરતા સાંસદ જનાર્દન મિશ્રાએ પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણની નીતિનું જોરદાર સમર્થન કર્યું હતું. તેમણે બ્રાઝિલનું ઉદાહરણ આપતાં કહ્યું કે ભારતીય વાહનો પણ ઈથેનોલ પર ચાલવા માટે સક્ષમ છે.ઈથેનોલ મિશ્રણનો વિરોધ કરનારા અને ‘શુદ્ધ પેટ્રોલ’ની માંગ કરનારાઓ પર નિશાન સાધતાં સાધતાં સાંસદ જનાર્દન મિશ્રાએ મર્યાદા વટાવી દીધી હતી. તેમણે મંચ પરથી ઉશ્કેરાઈને કહ્યું, “શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?” જે સમયે સાંસદ આ ભાષણ આપી રહ્યા હતા, તે સમયે મંચ પર મધ્ય પ્રદેશના ડેપ્યુટી CM રાજેન્દ્ર શુક્લા, રાજ્ય મંત્રી પ્રતિભા બાગરી, સતના સાંસદ ગણેશ સિંહ સહિત અનેક ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
અગાઉ પણ આપ્યા છે આવા નિવેદનો
નોંધનીય છે કે જનાર્દન મિશ્રા અગાઉ પણ અનેક વખત પોતાના અજીબોગરીબ અને અસંસ્કારી નિવેદનોને કારણે રાષ્ટ્રીય સ્તરે વિવાદ સર્જી ચૂક્યા છે. તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે છે અને વિપક્ષી દળો આ ભાષાને લઈને સત્તાધારી પક્ષ પર પ્રહારો કરવાની તૈયારી કરી રહ્યા છે.




