બનાસકાંઠા જિલ્લામાં ફાટ્યું આભ, 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકાર


બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં 12.56 ઈંચ વરસાદ અને થરાદમાં 11.73 ઈંચ, દિયોદરમાં 6.69 ઈંચ વરસાદ વરસ્યો હતો. મૂશળધાર વરસાદથી સૂઈગામમાં નદી-નાળા છલકાયા હતા. ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.
પાટણના રાધનપુર અને સાંતલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા કલાકમાં સાંતલપુર 7.56 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 24 કલાકમાં રાધનપુરમાં 7.16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મોડી રાત્રે સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાત્રે 10થી સવારે 6 વાગ્યે સુધી ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. સાંતલપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાંતલપુરના બકુતરાં,વારાહી, અહેવાલ,દાત્રાણામાં વરસાદ વરસ્યો હતો. સાંતલપુર તાલુકા માં મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંતલપુર સહીત ગ્રામ્ય વિસ્તાર માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
કચ્છ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતો. છેલ્લા 24 કલાકમાં રાપરમાં 12.48 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભુજ, ભચાઉ અને લખપતમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી રાપરમાં નદી-નાળા છલકાયા હતા. રાપર તાલુકાનો સુવઈ ડેમ છલોછલ થઈ હતો. મહેસાણા ના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. હાલમાં એક દરવાજો માત્ર એક ફૂટ ખોલી 1338ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણી આવક હાલ 38282 ક્યુસેક થઈ રહી છે. ડેમની જળ સપાટી હાલમાં 618.30ફૂટ પર પહોંચી હતી.




