જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ


રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક બસમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં 20થી વધુ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોકરણના ભાજપના ધારાસભ્યે અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટી કરી છે. આ અકસ્માત બપોરે 3:30 વાગ્યે જેસલમેરથી લગભગ 20 કિલોમીટર દૂર થૈયત ગામ પાસે થયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ બપોરે 3 વાગ્યે જેસલમેરથી 50થી વધુ મુસાફરો સાથે રવાના થઈ હતી. થૈયત ગામ પાર કરતા જ પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો અને થોડીવારમાં જ આખી બસ આગની લપેટમાં આવી ગઈ. મુસાફરો ચીસો પાડવા લાગ્યા. ઘણા લોકો બારીઓ અને દરવાજાઓમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
ગ્રામજનો અને રાહદારીઓએ બચાવ કામગીરી શરૂ કરી
ગામવાસીઓ અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે નજીકના પાણીના સ્ત્રોતોમાંથી પાણી અને રેતીનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. દરમિયાન, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવામાં લગભગ એક કલાક લાગ્યો હતો.
મ્યુનિસિપલ કાઉન્સિલના ફાયર ફાઇટર અને સહાયક ફાયર ઓફિસર પૃથ્વીપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે માહિતી મળ્યાના 10 મિનિટમાં ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી. તેમણે કહ્યું, “જ્યારે અમે પહોંચ્યા, ત્યારે અમને કોઈ જીવતું મળ્યું ન હતું.”
સ્થાનિકો અને પોલીસની મદદથી બધા ઘાયલોને ત્રણ એમ્બ્યુલન્સમાં જેસલમેરની જવાહર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેરની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું હતું કે, “રાજસ્થાનના જેસલમેરમાં થયેલા અકસ્માતથી હું દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ પીડિત લોકો અને તેમના પરિવારો સાથે છે.” હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000ની સહાય કરાશે.




