બિહારમાં ફરી એકવાર ત્રિપુટી, નીતિશ બાદ ભાજપમાં સમ્રાટ ચૌધરી- વિજય સિન્હાના નામ પર મહોર


બિહારમાં નીતિશ કુમારની આગામી સરકારમાં સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા ફરી એકવાર ભાજપ ક્વોટામાંથી ડેપ્યુટી સીએમ બનશે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને વિધાનસભા પક્ષના નેતા અને ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. 2024માં નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને એનડીએમાં પાછા ફર્યા બાદ સમ્રાટ ચૌધરી નેતા તરીકે અને વિજય સિંહા ઉપનેતા તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ નીતિશ કુમાર સરકારમાં બંનેને પહેલીવાર ડેપ્યુટી CM તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આજે પટનામાં ભાજપના ધારાસભ્યદળની બેઠકમાં બંનેને તેમના પદ પર જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) પ્રમુખ નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની આઠમી NDA સરકાર આવતીકાલે શપથ લેશે.
ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ મંગલ પાંડે અને સમ્રાટ ચૌધરી ભાજપ તરફથી ડેપ્યુટી સીએમ પદની રેસમાં આગળ છે. પરંતુ ભાજપ હંમેશા ચોંકાવતું આવ્યું છે. એટલે ત્રીજા અને નવા નામની ઉભરી આવવાની પણ શક્યતા રહેલી છે. કોણ ભાજપનો સમ્રાટ બને છે તે જોવું રસપ્રદ રહેશે. ભાજપે વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને નિરીક્ષક તરીકે અને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને સહ-નિરીક્ષક તરીકે પટના મોકલ્યા છે. બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને બિહાર માટે પાર્ટી પ્રભારી વિનોદ તાવડે પણ પટનામાં છે. નિરીક્ષકોની ટીમમાં ઓબીસી અને દલિતોનું મિશ્રણ સૂચવે છે કે નેતા અર્થાત નાયબ મુખ્યમંત્રી બીજા સમુદાયમાંથી હોઈ શકે છે.
નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ રીતે તેમના 10મી વખત બિહારના સીએમ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ સાથે લોકોની નજરો હવે ભાજપની પટણામાં ચાલી રહેલી ધારાસભ્ય દળની બેઠક પર છે. જે બેઠકમાં ધર્મેન્દ્ર પ્રધાન સહિત દિગ્ગજ નેતાઓ હાજર છે. જો આ બેઠકમાં નીતિશ કુમારના નામને મંજૂરી મળી જાય તો નીતિશ કુમાર ફરી એકવાર બિહારના સીએમ બની જશે.
માહિતી અનુસાર એવી ચર્ચા છે કે બિહારના સીએમના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી પણ આવતીકાલે હાજરી આપી શકે છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજરી આપે તેવું નક્કી મનાઈ રહ્યું છે. આવતીકાલે 11:30 વાગ્યે શપથ સમારોહ યોજાશે.




