UNESCOએ દિવાળીને અમૂર્ત વિશ્વ ધરોહર જાહેર કરી:PM મોદીએ કહ્યું, આ તહેવાર ધર્મનું પ્રતીક


દિવાળીને UNESCO (સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક તથા સાંસ્કૃતિક સંગઠન)ની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ, એટલે કે અમૂર્ત વિશ્વ ધરોહરની સૂચિમાં સામેલ કરી છે. યુનેસ્કોએ બુધવારે એની જાહેરાત કરી અને ભારતને અભિનંદન પાઠવ્યાં. આ સાથે જ ઘાના, જ્યોર્જિયા, કોંગો, ઇથોપિયા અને ઇજિપ્ત સહિત અનેક દેશોનાં સાંસ્કૃતિક પ્રતીકો પણ આ સૂચિમાં જોડાયાં છે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે દિલ્હી UNESCOની ઇન્ટર-ગવર્નમેન્ટલ કમિટી ફોર ઇન્ટેન્જિબલ હેરિટેજની 20મી બેઠકની યજમાની કરી રહી છે, જે 8થી 13 ડિસેમ્બર સુધી ચાલી રહી છે. આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 10 ડિસેમ્બરે વિશેષ દીપાવલી સમારોહ રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી વિશ્વ સમક્ષ ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત રીતે રજૂ કરી શકાય.

ભારતની 15 ધરોહરો પહેલાંથી જ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ, એટલે કે અમૂર્ત વિશ્વ ધરોહરની સૂચિમાં સ્થાન મેળવી ચૂકી છે. એમાં દુર્ગાપૂજા, કુંભ મેળો, વૈદિક મંત્રોચ્ચાર, રામલીલા, છઉ નૃત્ય પણ સામેલ છે.
PM મોદીએ કહ્યું- દિવાળી પ્રકાશ અને ધર્મનું પ્રતીક છે
આ પ્રસંગે PM મોદીએ કહ્યું કે

અમારા માટે દિવાળી અમારી સંસ્કૃતિ અને નૈતિકતા સાથે અત્યંત ગાઢ રીતે જોડાયેલી છે. એ અમારી સભ્યતાનો આત્મા છે. એ પ્રકાશ અને ધર્મનું પ્રતીક છે. દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સામેલ કરવાથી આ તહેવારની વૈશ્વિક લોકપ્રિયતામાં વધુ વધારો થશે. પ્રભુ શ્રીરામના આદર્શો આપણને સદા માર્ગદર્શન આપતા રહે.
કાર્યક્રમનું મુખ્ય સ્થળ લાલ કિલ્લો હશે. અહીં વિદેશી મહેમાનો અને દેશના મોટા અધિકારીઓ દીપ પ્રગટાવવાની વિધિ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત કલાનાં પ્રદર્શનો જોશે. રાજધાનીને શણગારવાની જવાબદારી દિલ્હી સરકારને સોંપવામાં આવી છે. સમગ્ર શહેરમાં લાઇટો લગાવવામાં આવશે, શણગાર કરવામાં આવશે, દીવા પ્રગટાવવામાં આવશે અને અલગ-અલગ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.
દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે 10 ડિસેમ્બરે દિલ્હી સરકાર અલગથી દિવાળી ઊજવશે. તમામ સરકારી ઇમારતો શણગારવામાં આવશે, દિલ્હી હાટમાં ખાસ કાર્યક્રમો યોજાશે અને લાલ કિલ્લા પર દીવા પ્રગટાવવામાં આવશે. મંગળવારે રાત્રે દિલ્હી સચિવાલયને ત્રિરંગા રંગોની રોશનીથી ઝગમગાવવામાં આવ્યું હતું.
સરકારનો હેતુ દિવાળીને “અંધકારથી પ્રકાશ તરફ” લઈ જનારા વૈશ્વિક સંદેશ તરીકે રજૂ કરવાનો છે, જેથી યુનેસ્કોની યાદીમાં ભારતનો દાવો વધુ મજબૂત બની શકે. દિલ્હી સરકારે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ શહેરભરમાં થઈ રહેલા સમારોહમાં ભાગ લે અને સાથે મળીને આ ઐતિહાસિક ક્ષણને ઊજવે.




