અમદાવાદ શહેરમાં ઘરમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, ગંભીર રીતે દાઝી જતાં 2 લોકોના મોત, એક ઇજાગ્રસ્ત

મેટ્રોસિટી અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા કર્ણાવતી નગર પાસેના સત્યમ નગરમાં ગેસ સિલિન્ડર ફાટવાની ગંભીર ઘટના સામે આવી છે. વિગતો મુજબ મકાનમાં અચાનક ગેસ લીકેજ થતા જ સિલિન્ડરમાં ભડકો થયો હતો જેના કારણે આખા ઘરમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી તીવ્ર હતી કે, મકાનમાં રહેલા લોકો બચવાનો પ્રયત્ન કરતા ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બે ફાયર ફાઈટર ગાડીઓ અને એક એમ્બ્યુલન્સની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે ગઇકાલે આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બ્લાસ્ટ બાદ આગ બુઝાવવાનો પ્રયત્ન કરતી એક મહિલા પણ આગની ઝપટમાં આવી ગઈ હતી. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર રીતે દાઝી જતા બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં મહેવીશ નરેશભાઈ સોલંકી (ઉંમર 22) અને લાલો નરેશ સોલંકી (ઉંમર 19)નો સમાવેશ થાય છે. જ્યારે 42 વર્ષીય ભરતીબેનને ગંભીર ઇજાઓ સાથે સારવાર આપવામાં આવી રહી છે.




