ચાંદખેડામાં બાળકીના મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, ખુલશે અનેક રહસ્ય


અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા મારુતિ પ્લાઝામાં બે નાની બાળકીના શંકાસ્પદ મોતનો મામલો હજુ પણ રહસ્યમય બન્યો છે. 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રીના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, મોતનું સાચું કારણ જાણવા માટે FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
મૃતક બાળકીના માતા-પિતા ઉપરાંત દાદા-દાદી સતત એક જ દલીલ કરી રહ્યા છે કે ઢોસાના ખીરા ખાધા બાદ જ તમામ સભ્યોની તબિયત લથડી હતી. માતા ભાવના પ્રજાપતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી, જ્યાં તેણે પણ ખીરા જ મોતનું કારણ હોવાનું કહ્યું હતું. પિતા વિમલે પણ અગાઉની પૂછપરછ દરમિયાન આ જ વાત પુનરાવર્તિત કરી હતી અને દીકરીઓની હત્યા કરવાના આરોપોને નકારી કાઢ્યા હતા. પોલીસ આ દિશામાં તપાસને વધુ ગહન બનાવી રહી છે. જો કે આ કેસમાં મહત્ત્વની કડી રૂપ માતા ભાવનાબેનની ડાયરી મળી આવી હતી જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પરિવારને પૂરો કરવા માટે માનતા રાખી હોવાની વાત પણ સામે આવી કચે જે મુદ્દે ભાવના બેને જણાવ્યું હતું કે દીકરીના જન્મ પછી દીકરીને પણ પ્રેમથી જ રાખતા હતા.
પોલીસે બાળકીની સારવાર સંબંધિત તમામ રિપોર્ટ એકત્રિત કર્યા છે અને તેને સિવિલ હોસ્પિટલમાં એક્સપર્ટ પેનલને સોંપવામાં આવશે. આ પેનલ તપાસ કરશે કે સારવાર દરમિયાન કોઈ બેદરકારી કે ભૂલ થઈ હતી કે નહીં. સાથે જ FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જો આ તમામ તપાસમાં કોઈ સ્પષ્ટ કારણ સામે નહીં આવે તો પરિવારજનોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે. ઉપરાંત, ખીરું ઘરે લઈ ગયા બાદ તે અખાદ્ય બન્યું હતું કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે.આ સમગ્ર ઘટના 1 થી 3 એપ્રિલ વચ્ચેની હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ખીરાના ઢોસા સિવાય અન્ય કોઈ ખાદ્ય પદાર્થ લીધો હતો કે ખાધો હતો કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. ખીરું ઘનશ્યામ ડેરીમાંથી લાવવામાં આવ્યું હતું. જેના સેમ્પલ FSL દ્વારા લેવામાં આવ્યા છે. પરિવારના અન્ય સભ્યો જેમ કે કાકા, ફોઈ, દાદા અને દાદીના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ તારણ મળ્યું નથી. હવે તમામની નજર FSL અને ડોક્ટરોના રિપોર્ટ પર છે. જે આ રહસ્યમય કેસમાં નવો વળાંક લાવી શકે છે.




