મુંબઈના ‘લાલબાગચા રાજા’નું આજે વિસર્જન, ઢોલ નગારા-નાચગાન સાથે વિદાયની તૈયારી


મુંબઈના લાલબાગચા રાજા ગણેશજીનું વિસર્જન હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. દર વર્ષે, અનંત ચતુર્દશીના દિવસે 10 દિવસના ગણેશ ઉત્સવનો અંત આવે છે અને ભક્તો તેમના પ્રિય ‘લાલબાગચા રાજા’ને વિદાય આપવા માટે ગિરગામ ચોપાટી પર ભેગા થાય છે. આ વર્ષે વિસર્જન ખાસ બનાવેલા એક ઇલેક્ટ્રિક રાફ્ટ (હોડી જેવા પ્લેટફોર્મ) પર થશે.
આ રાફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ કંટ્રોલથી સજ્જ છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે વિશાળ મૂર્તિને ધીમે ધીમે સમુદ્રમાં ઉતારે અને મોજા વચ્ચે પણ સંતુલન જાળવી રાખે. આ પગલાનો ઉદ્દેશ્ય પરંપરાની પવિત્રતા જાળવી રાખવાનો અને વિસર્જન દરમિયાન ભીડ અને દરિયાના મોજાઓને કારણે થતા જોખમોને ઓછા કરવાનો છે.
આ પહેલીવાર નથી કે જયારે લાલબાગચા રાજાએ ટેકનોલોજીકલ નવીનતા અપનાવી હોય. વર્ષ 2016 માં, પહેલી વાર મશીનથી ચાલતું રાફ્ટ લાવવામાં આવ્યું હતું. તે સમયે, 12 ટન વજન ધરાવતું 19×19 ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું, જેમાં હાઇડ્રોલિક ટિલ્ટિંગ સિસ્ટમ હતી. ત્યારથી, મંડળ તેમાં સતત સુધારો કરી રહ્યું છે. આ વર્ષનું રાફ્ટ પહેલા કરતાં વધારું હળવું, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ છે.
ગણપતિ બાપ્પાની વિદાયની તૈયારીઓ પણ મૂર્તિ સ્થાપના જેટલી જ ભવ્ય હોય છે. પંડાલમાં વિસર્જનના થોડા દિવસો પહેલા, દર્શન માટેની લાઇનો બંધ કરી દેવામાં આવે છે જેથી સ્વયંસેવકો મૂર્તિ લઈ જવાની તૈયારીઓ પર ધ્યાન આપી શકે. સવારે, પુજારીઓ રાફ્ટની પૂજા કરે છે અને પછી તેને ફૂલો અને લાઇટોથી શણગારવામાં આવે છે. ક્રેન, ડાઇવર્સ, પોલીસ અને બીએમસીની ટીમો ચોપાટી પર હાજર હોય છે જેથી લાખો ભક્તો આ દ્રશ્ય સુરક્ષિત રીતે જોઈ શકે.મંડળ માટે, આ રાફ્ટ ફક્ત એક તકનીકી ઉકેલ નથી, પરંતુ જવાબદારીનું પ્રતીક પણ છે. ગણેશ વિસર્જનને સલામત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે મુંબઈમાં સતત પ્રયાસો ચાલી રહ્યા છે. આ માટે, કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને માટીની મૂર્તિઓ અને નેચરલ કલરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લાલબાગચા રાજાનું આ રાફ્ટ આ જ પ્રયાસોને આગળ વધારે છે જેથી વિસર્જન ગૌરવપૂર્ણ બને અને પ્રદૂષણ ઓછું થાય.
ભક્તો માટે, લાલબાગચા રાજાને વિદાય આપવી એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હોય છે. મોટાભાગના લોકો કલાકો સુધી ટીવી, લાઇવ અથવા સોશિયલ મીડિયા પર આ દ્રશ્ય જુએ છે. હાથ જોડીને પ્રાર્થના કરે છે, ભક્તોની આંખો ભીની થઈ જાય છે અને વાતાવરણમાં ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારાઓથી ગુંજી ઉઠે છે.




