નેપાળમાં સાંજે પાંચ વાગ્યાથી દેશમાં કરર્ફ્યુની જાહેરાત, કાઠમાંડુ એરપોર્ટ પર સેનાનું નિયંત્રણ


નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરૂદ્ધ ભડકેલી આગ માત્ર બે દિવસમાં જ અરાજકતામાં ફેરવાઇ ગઇ હતી. કાઠમાંડુ સહિત કેટલાક શહેરોમાં પ્રદર્શનકારીઓએ સંસદ,રાષ્ટ્રપતિ ભવન અને સિંહ દરબાર જેવી ઐતિહાસિક બિલ્ડિંગોને આગના હવાલે કરી દીધી હતી. પૂર્વ વડાપ્રધાન અને મંત્રીઓના ઘરો પર હુમલા થયા અને બેન્ક અને હોટલોમાં લૂંટફાટ કરવામાં આવી હતી. જેલોમાંથી પણ કેદીઓ ફરાર થઇ ગયા હતા. સેનાની કાર્યવાહીમાં અત્યાર સુધી 22 લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.જોકે, સ્થિતિ બગડ્યા બાદ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને રાજીનામું આપી દીધુ હતું.
નેપાળ મીડિયા કાઠમાંડુ પોસ્ટના રિપોર્ટ અનુસાર, નેપાળ સેનાએ બુધવારે સાર્વજનિક સુરક્ષા માટે ખતરાનો હવાલો આપતા કહ્યું કે દેશમાં પ્રતિબંધ લાગુ છે અને આ સાંજે 5 વાગ્યા સુધી પ્રભાવી રહેશે જે બાદ ગુરૂવાર સવારે 6 વાગ્યા સુધી દેશવ્યાપી કરર્ફ્યુની લગાવી દેવામાં આવશે.નેપાળમાં તોડફોડ અને હિંસા વચ્ચે સેનાએ ચેતવણી આપતા કહ્યું કે ઘટનાનો ફાયદો ઉઠાવીને લોકો અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડનારા ઉપદ્રવિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
પાડોશી દેશ નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે યુપી-બિહાર સહિતના સરહદી વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરહદી જિલ્લામાં પોલીસને 24 કલાક હાઇએલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે.
નેપાળથી ભારત આવતી ફ્લાઇટો રદ કરવામાં આવી છે. રોજ સંચાલિત થતી 250થી વધુ ફ્લાઇટ પ્રભાવિત થઇ છે જેમાં એર ઇન્ડિયા, ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સિંગાપુર એરલાઇન્સ જેવી એરલાઇન્સ સામેલ છે.




