રશિયન પ્રેસિડેન્ટ પુતિન આ દિવસે બનશે ભારતના મહેમાન, સત્તાવાર જાહેરાત કરાઇ


ભારત અને રશિયા વચ્ચેના લાંબા સમયથી ચાલતા વ્યૂહાત્મક સંબંધોને નવી દિશા આપવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની દ્વિદિવસીય મુલાકાતે આવશે. આ મુલાકાત 23મા ભારત–રશિયા વાર્ષિક શિખર સંમેલનનો ભાગ છે, જે બંને દેશો વચ્ચેનો સૌથી ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય સંવાદ મંચ છે.
ક્રેમલિન અને ભારતના વિદેશ મંત્રાલયે પુતિનની મુલાકાતની પુષ્ટિ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણના અનુસંધાનમાં પુતિન ભારત આવી રહ્યા છે. બંને દેશોના સંબંધોના આગામી તબક્કાને મજબૂત બનાવવા માટે આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- રશિયન રાષ્ટ્રપતિ પુતિન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સન્માનસભર મુલાકાત કરશે.
- તેમના માનમાં રાજ્ય ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવશે, જ્યાં બંને દેશોના પ્રતિનિધિમંડળો હાજર રહેશે.
આ શિખર સંમેલન દરમિયાન બંને દેશો ગયા વર્ષના સહકારની સમીક્ષા કરશે, આગામી વર્ષ માટેની વ્યૂહરચના નક્કી કરશે, અને વિવિધ મંત્રાલયો વચ્ચેની બેઠકઓ દ્વારા નવા કરારોને અંતિમરૂપ અપાશે. આ સંમેલન ભારત–રશિયા સંબંધોની સૌથી મહત્વપૂર્ણ પરંપરાઓમાંની એક છે.
- ઊર્જા સહકાર અને તેલ આયાતનો મુદ્દો : ભારત રશિયાથી મોટા પાયે કચ્ચા તેલની ખરીદી કરે છે. અમેરિકાની તરફથી લાદવામાં આવેલા ટેરિફ પછી, આ મુલાકાત ઊર્જા સહકારને નવું સ્વરૂપ આપવા માટે મહત્વપૂર્ણ બને છે.
- રક્ષા સહકાર : બ્રહ્મોસ, સુ-30MKI, S-400 એર ડિફેન્સ સિસ્ટમ જેવા મોટા પ્રોજેક્ટ્સમાં ચાલતા સહકારની સમીક્ષા થશે.
- વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં સંકલન : યુક્રેન યુદ્ધ, ઇન્ડો-પેસિફિક પરિસ્થિતિ અને બહુપક્ષીય મંચોમાં બંને દેશોનું સંકલન મહત્વપૂર્ણ છે. પુતિનની મુલાકાત આ દિશામાં એક નવો સંદેશ આપે છે.




