આજે Indigoની વધુ 18 ફ્લાઇટ્સ રદ, અમદાવાદ એરપોર્ટ પર અટવાયા અનેક મુસાફરો


અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો તેમજ અન્ય એરલાઈન્સની સતત ફ્લાઇટ રદ થવાની સમસ્યાએ મુસાફરોને છેલ્લા પાંચ દિવસથી ભારે હેરાનગતિનો સામનો કરાવ્યો છે. નવી મળતી માહિતી પ્રમાણે, આજે 8 ડિસેમ્બરે કુલ 18 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જ્યારે 7 ડિસેમ્બરે 42 ફ્લાઇટ રદ થવાના બનાવો નોંધાયા હતા.
છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી 350થી વધુ ફ્લાઇટ રદ થઈ ચૂકી છે. જેના કારણે હજારો મુસાફરોના પ્રવાસ કાર્યક્રમો અસ્તવ્યસ્ત થઈ ગયા છે. ઘણા મુસાફરોને એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, જ્યારે કેટલીક ફ્લાઇટ્સના સતત રિસ્કેજ્યુલિંગ અને અંતિમ ક્ષણે રદ થવાને કારણે અસંતોષ વધ્યો છે.
ફ્લાઇટ રદ થવાના વધતા બનાવોને લઈને મુસાફરો દ્વારા એરલાઈન્સ તેમજ એરપોર્ટ મેનેજમેન્ટ સામે હેરાનગતિના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કેટલાક મુસાફરોનો આક્ષેપ છે કે યોગ્ય માહિતી સમયસર આપવામાં આવી રહી નથી. જેના કારણે મુશ્કેલી વધારે વધી રહી છે.
દેશની સૌથી મોટી પ્રાઈવેટ એરલાઈન ગણાતી ઇન્ડિગો છેલ્લા એક અઠવાડિયાથી ભારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. ટેક્નિકલ ફોલ્ટ અને મેનેજમેન્ટ લેવલે સર્જાયેલા ખોટા સંકલનના કારણે હજારો મુસાફરોને એરપોર્ટ્સ પર લાંબી લાઈનો, ફ્લાઇટ કેન્સલેશન અને અનેક કલાકોની ડિલે જેવી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. મુસાફરોનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ફાટી નીકળ્યા બાદ કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા માટે મજબૂર બનવું પડ્યું.




