પંજાબનાં CM માન જે હોસ્પિટલમાં દાખલ તેને ઉડાવી દેવાની ધમકી:સુરક્ષા એજન્સીઓએ હોસ્પિટલને ઘેરી


પંજાબના CM ભગવંત માન મોહાલીની જે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ છે, તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા મેઈલમાં CM માન વિશે લખવામાં આવ્યું છે કે તેમને પોલોનિયમથી સંક્રમિત કરવામાં આવ્યા છે. જો તેઓ બચી જશે તો બેઅંત જેવો હાલ કરશે. પંજાબના દિવંગત પૂર્વ CM બેઅંત સિંહને ચંદીગઢ સચિવાલયમાં માનવ બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા. પોલોનિયમ દુર્લભ રેડિયોએક્ટિવ પદાર્થ છે, જે અત્યંત ઝેરી હોય છે.
ધમકી મળ્યા બાદ પંજાબ પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. હોસ્પિટલને ચારેય બાજુથી પોલીસેો ઘેરી લીધી છે. અહીં 5 બોમ્બ સ્કવોડ સક્રિય કરવામાં આવ્યા છે.
મોહાલીના SP દિલપ્રીત સિંહે કહ્યું કે હજુ સુધી CMને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કોઈ વાત નથી. CM સિક્યોરિટી સાથે પોલીસ ટીમો એલર્ટ છે.
ફોર્ટિસ હોસ્પિટલની સાથે મોહાલીની 16 શાળાઓને પણ ધમકી મળી છે. જ્યાં તાત્કાલિક રજા કરાવી દેવામાં આવી છે.
મોહાલીની સ્કૂલ અને ફોર્ટિસ હોસ્પિટલને સવારે 11 વાગ્યે બોમ્બથી ઉડાવીશું. પંજાબ હવે ખાલિસ્તાન બનીને રહેશે. સ્કૂલોની સાથે ફોર્ટિસ હોસ્પિટલને ભગવંત માન માટે ઉડાવવામાં આવશે. લોકો પોતાના બાળકોને બચાવો અને આજે મોહાલીની સ્કૂલો બંધ રાખો.
ભગવંત માનની લાશ ફોર્ટિસમાંથી કાઢીશું. માનને પોલોનિયમથી સંક્રમિત કરવામાં આવ્યા છે. જો તેઓ જીવતા બચી જશે તો બેઅંત (પૂર્વ CM બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા)ની જેવો હાલ કરીશું. ખાલિસ્તાન રેફરન્ડમનો બદલો લેવામાં આવશે. ખોટા પોલીસ એન્કાઉન્ટરનો બદલો ગેંગસ્ટર લેશે.
મેઈલમાં નીચે ખાલિસ્તાન નેશનલ આર્મીનું નામ લખેલું છે. આની સાથે એન્જિનિયર ગુરનાખ સિંહ, રુકન શાહવાલા, ડો. ગુરમીરવીર સિંહ અને ખાન રાજાદાનો ઉલ્લેખ છે.





