Top In Ahmedabad

ઢોલ-નગારા સાથે આજે અમદાવાદના નગરદેવી માઁ ભદ્રકાળી નીકળ્યાં નગરચર્યાએ, ભક્તોની પડાપડી

અમદાવાદના સ્થાપના દિવસ 26 ફેબ્રુઆરી નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા ધામધૂમથી નીકળી હતી. વહેલી સવારે મંદિર પ્રાંગણમાં ધાર્મિક વિધિઓ બાદ મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આશરે 6.25 કિલોમીટર લાંબી આ યાત્રામાં માતાજીનો સજાવટદાર રથ, નાસિક ઢોલના ગજતાં તાલ, અખાડાના કલાકારોના દમદાર પ્રદર્શન, ભજન મંડળીઓના ભક્તિમય ગાન અને મોટી સંખ્યામાં જોડાયેલ વાહનોનો કાફલો આકર્ષણનું કેન્દ્ર બન્યો. માર્ગભર “જય ભદ્રકાળી”ના જયઘોષ સાથે ભક્તોએ ઉત્સાહપૂર્વક માતાજીના દર્શન કર્યા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી માઈભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

યાત્રાના રૂટ અંતર્ગત રિલીફ રોડ, ગાંધી રોડ, માણેકચોક, રાયપુર અને ખાડિયા સહિતના વિસ્તારોમાં નિશ્ચિત સમયગાળા માટે વાહનવ્યવહાર પર પ્રતિબંધ રહેશે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સામાન્ય વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે માહિતી આપવામાં આવી છે. ટ્રાફિક વિભાગ દ્વારા વિવિધ ચોક અને જંકશન પર પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. નાગરિકોને યાત્રાના સમય દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવા પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ પોલીસ વિભગ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

જાહેરનામા મુજબ આવશ્યક સેવા, ઇમર્જન્સી વાહનો તેમજ સરકારી ફરજ પરના વાહનોને ટ્રાફિક પ્રતિબંધમાંથી છૂટછાટ આપવામાં આવશે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય તાત્કાલિક સેવાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસ વિભાગે નાગરિકોને ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે. યાત્રા દરમિયાન શાંતિ, સુરક્ષા અને સુવ્યવસ્થિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે દરેક નાગરિકનો સહયોગ મહત્વપૂર્ણ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button