એર ઈન્ડિયા એક્સપ્રેસમાં બેઠેલા 133 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા:રનવે પર ફ્લાઈટનું લેન્ડિંગ દરમિયાન પૈડું નીકળી ગયું


થાઈલેન્ડમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ બુધવારે બપોરે લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બની. વિમાન રનવે પર ઉતરતા જ તેનું નોઝ ગિયર તૂટી ગયું અને આગળનું પૈડું અલગ થઈ ગયું. આ ફ્લાઇટ હૈદરાબાદથી ફુકેટ જઈ રહી હતી.
થાઈ અખબાર ધ નેશન અનુસાર, ઘટના બાદ થોડા સમય માટે રનવે બંધ કરવો પડ્યો હતો, જોકે વિમાનમાં સવાર તમામ 133 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.
આ ફ્લાઇટ નિર્ધારિત સમય પહેલા ફુકેટ પહોંચી ગઈ હતી. વિમાનનો નિર્ધારિત લેન્ડિંગનો સમય સવારે 11:40 હતો, પરંતુ તે 11:24 વાગ્યે જ ઉતરી ગયું. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનનું લેન્ડિંગ ખૂબ ઝડપી થયું, જેના કારણે તેના આગળના લેન્ડિંગ ગિયરને નુકસાન થયું. પૈડું અલગ થઈ જવાને કારણે વિમાનને તરત રનવે પરથી હટાવી શકાયું નહીં.
એરપોર્ટ અધિકારીઓએ પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લીધી. વિમાનમાં સાત ક્રૂ સભ્યો, 131 મુસાફરો અને બે બાળકો સવાર હતા. આ ઘટના પછી, ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટે રનવેને અસ્થાયી રૂપે બંધ કરી દીધો જેથી વિમાનને હટાવી શકાય અને રનવેની સુરક્ષા તપાસ કરી શકાય.
એરપોર્ટ અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ AXB938 હૈદરાબાદથી ફુકેટ આવી હતી. આ વિમાન બોઇંગ 737-800 હતું, જેનો રજીસ્ટ્રેશન નંબર VT-BWQ છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પુષ્ટિ કરીએ છીએ કે 11 માર્ચે અમારી હૈદરાબાદ-ફુકેટ ફ્લાઇટમાં ફુકેટ એરપોર્ટ પર નોઝ વ્હીલમાં સમસ્યા આવી હતી.” નોઝ વ્હીલ એરક્રાફ્ટના લેન્ડિંગ ગિયર સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે.પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે વિમાનનું લેન્ડિંગ ખૂબ ઝડપી થયું હતું, જેના કારણે નોઝ લેન્ડિંગ ગિયરને નુકસાન થયું અને વિમાન રનવે પરથી હટી શક્યું નહીં.
ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટે બપોરે 12:08 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રનવે બંધ રહેવાની સૂચના જાહેર કરી. આ સાથે એરપોર્ટ પ્રશાસને સંબંધિત એજન્સીઓ સાથે મળીને પરિસ્થિતિ સંભાળી અને તમામ સુરક્ષા નિયમોનું પાલન કર્યું.
એરપોર્ટે પ્રભાવિત મુસાફરોને જણાવ્યું છે કે તેઓ એરપોર્ટ આવતા પહેલા પોતાની એરલાઇનનો સંપર્ક કરીને ફ્લાઇટની સ્થિતિ અને યાત્રા સંબંધિત માહિતી ચોક્કસપણે તપાસી લે, જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચી શકાય.




