ટ્રમ્પના ટેરિફ બૉમ્બ વચ્ચે PM મોદીએ કેબિનેટ મંત્રીઓની બોલાવી બેઠક, કરી શકે છે આ જાહેરાત


અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાનો 25 ટકા ટેરિફ આવતીકાલથી લાગુ થવાનો છે. આ સાથે અમેરિકા ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલશે, જેના માટે અમેરિકા દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરી દેવાઈ છે. ટ્રમ્પના આ ટેરિફ વલણ પર આજે(26 ઑગસ્ટ) પીએમઓ ખાતે મહત્ત્વની બેઠક યોજાઈ છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ આયોજિત આ બેઠકમાં ગૃહ મંત્રી, વાણિજ્ય મંત્રી સહિતના કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિકાસકારો અને નિકાસ પ્રોત્સાહન સમિતિઓ સાથે બેઠક યોજી અમેરિકાના ટેરિફની અસરો વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. નિકાસકારોએ સરકાર સમર્થિત કોલેટરલ ફ્રી કાર્યકારી મૂડી સહાય આપતી ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમની માગ કરી હતી. પરંતુ અધિકારીઓએ માન્યું હતું કે, સેક્ટર આધારિત ઉકેલો વધુ અસરકારક રહેશે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ બેઠક બાદ સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે, જે ભારતીય નિકાસકારોને રાહત આપવા તેમજ વૈકલ્પિક બજારો શોધવામાં મદદ કરશે. વડાપ્રધાન મોદીની આ બેઠક આ મહિનાના અંતમાં બે મોટી અર્થવ્યવસ્થાઓ, જાપાન અને ચીનની તેમની મુલાકાત પહેલા થઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર ભારતીય નિકાસ માટે અને ખાસ કરીને કામદારોની સલામતી માટે આર્થિક રાહત માટે એક ખાસ પેકેજની જાહેરાત કરી શકે છે. આ સાથે ટ્રમ્પના ટેરિફ હુમલા વચ્ચે વૈકલ્પિક બજારો શોધવા અને વ્યવસાયિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ તીવ્ર બન્યા છે.




