વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો શુભારંભ કરાવ્યો, કહ્યુ – “આ દિવસ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડની ભાવનાને મૂર્તિમંત કરે છે”


પીએમ મોદીએ આજે 31મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદમાં કેન્સ (Kaynes) સેમિકોનની OSAT સુવિધાનો શુભારંભ કરાવ્યો છે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી. ₹3300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.
રાજ્યમાં માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ કેન્સ સેમિકોનની OSAT સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે. OSAT એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર આ પ્લાન્ટમાં દિવસની 60 લાખ ચિપ્સ બનશે.

પીએમ મોદીએ આ કાર્યક્રમમાં જણાવ્યુ છે કે, “સેમિકન્ડક્ટરમાં આત્મસુરક્ષા, એનો અર્થ છે કે, અનેક ક્ષેત્રમાં આત્મનિર્ભર્તાને બળ મળશે. આ મિશન અંતર્ગત છ રાજ્યના 10 પ્રોજેક્ટસ પર કામ થઈ રહ્યું છે.”
પીએમ મોદીએ વધુ જણાવ્યુ છે કે, “મને ખુશી છે કે એક ભારતીય કંપનીઓએ સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનમાં રસ દાખવ્યો છે, અને તેના પરિણામો બધા માટે સ્પષ્ટ છે. આપણી પોતાની ભારતીય કંપની, કેન્સ, હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનો એક મજબૂત ઘટક બની ગઈ છે. આ એક ભવ્ય શરૂઆત છે – અપાર ગર્વની ક્ષણ. આવનારા દિવસોમાં, વૈશ્વિક સહયોગ દ્વારા, અસંખ્ય ભારતીય કંપનીઓ વિશ્વને એક સ્થિતિસ્થાપક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન પ્રદાન કરવા માટે તૈયાર છે. આ દિવસ ખરેખર દરેક અર્થમાં “મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” ની ભાવનાને મૂર્તિમંત કરે છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, 2021માં ભારતે India Semiconductor Mission શરૂ કર્યુ હતુ. આ મિશન માત્ર એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસી નથી આ ભારતના આત્મવિશ્વાસની જાહેરાત છે.
મહત્વપૂર્ણ ખનિજોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ હેઠળ, મહત્વપૂર્ણ ખનિજોના ખાણકામ અને ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ખનિજોના રિસાયક્લિંગ માટે ₹1,500 કરોડની યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ જેવા દરિયાકાંઠાના રાજ્યોને આવરી લેતા ‘રેર અર્થ કોરિડોર’ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કોરિડોર એક સંકલિત નેટવર્ક તરીકે સેવા આપશે, ખાણકામ, શુદ્ધિકરણ અને ઉત્પાદન માટે એક મજબૂત મૂલ્ય શૃંખલા સ્થાપિત કરશે. અમારો ઉદ્દેશ્ય દેશમાં ખનિજોનો રાષ્ટ્રીય અનામત સ્થાપિત કરવાનો છે. જો આ પહેલ 30-40 વર્ષ પહેલાં શરૂ થઈ હોત તો તે આદર્શ હોત; જોકે, ભારત હવે મિશન મોડમાં આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે.
28 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “જૂન-2023માં આ સુવિધા માટે MoU થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને આજે ફેબ્રુઆરી-2026માં કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે દાનત સાફ હોય અને નિષ્ઠા દેશના વિકાસ પ્રત્યે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બને છે અને નિર્ણયોમાં પણ ગતિ આપોઆપ આવી જતી હોય છે.”




