રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!


લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બુધવારે (3 જૂન, 2026) એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર વિશે અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ કહ્યું છે કે તેમની પાસે સિસ્ટમની અંદરની માહિતી છે અને આગામી 1 જ વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે નહીં રહે. આ ઉપરાંત તેમણે દેશમાં એક ભયંકર ‘આર્થિક સુનામી’ આવવાની અને સરકારી સંસ્થાઓમાં મોટા અધિકારીઓ બળવો કરી રહ્યા હોવાની વાત કહીને રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.
બુધવારે યોજાયેલા રાષ્ટ્રીય આદિવાસી વ્યાવસાયિક સંમેલનમાં રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કર્યા હતા. અહીં તેમણે ‘આદિવાસી’ અને ‘વનવાસી’ શબ્દ વચ્ચેનો ભેદ સમજાવતા કહ્યું કે આદિવાસીઓ જ ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસનું અસલી મૂળ છે. તેમણે ભાજપ અને RSS પર સીધો પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે આ લોકો આદિવાસીઓને તેમના જળ, જંગલ અને જમીનના મૂળભૂત હકોથી દૂર રાખવા માંગે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેઓ પોતે આદિવાસીઓના હક માટે લડવા હંમેશા તૈયાર છે. આ કાર્યક્રમમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને ટ્રાઇબલ સેલના વડા વિક્રાંત ભૂરિયાએ રાહુલ ગાંધીને પરંપરાગત આદિવાસી ટોપી પણ ભેટમાં આપી હતી.
આ સંમેલનમાં રાહુલે એક મોટી ચેતવણી આપતા દાવો કર્યો કે, “દેશમાં એક એવી ભયંકર આર્થિક સુનામી આવવાની છે, જેને હવે કોઈ રોકી નહીં શકે. દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી જશે. ભાજપે દેશની આર્થિક સુરક્ષા વ્યવસ્થા જ ખતમ કરી નાખી છે. તમે તમારા જીવનમાં ક્યારેય ન વિચારી હોય તેવી આર્થિક કટોકટી હવે આવવાની છે.”આટલેથી ન અટકતા રાહુલે બીજો એક સનસનીખેજ દાવો કર્યો કે દેશની સંસ્થાઓમાં આંતરિક બળવો શરૂ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, “3 વર્ષ પહેલા ચૂંટણી પંચ સંપૂર્ણપણે સરકારના કંટ્રોલમાં હતું, પણ હવે મને ખુદ મુખ્ય ચૂંટણી કમિશનર તરફથી મેસેજ આવી રહ્યા છે. વરિષ્ઠ ન્યાયતંત્ર અને ઇન્ટેલિજન્સ (ગુપ્તચર) વિભાગના અધિકારીઓ બધા અંદરખાને બળવો કરી રહ્યા છે અને અમને કહી રહ્યા છે કે જે સિસ્ટમ કંટ્રોલમાં હતી તે હવે તૂટી રહી છે.”
પોતાની વાત પૂરી કરતા રાહુલે કહ્યું, “સિસ્ટમ અંદરથી હલી ગઈ છે. મને ખુદ સરકારની અંદરથી પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, તેમના મંત્રીઓ અને અજિત ડોભાલ વિશે અંદરની માહિતી મળતી રહે છે. હવે એવું બની શકે કે જનતાના વધતા દબાણને દબાવવા માટે તેઓ દેશમાં કટોકટી (ઇમરજન્સી) લાદવાનો પ્રયાસ કરે. પણ મારું સ્પષ્ટ માનવું છે કે 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે.”




