રાજકોટમાં આડા સંબંધોમાં ખૂની ખેલ, પતિએ પત્નીને ગોળી માર્યા બાદ આત્મહત્યા કરી; પોલીસ તપાસ શરૂ


રાજકોટમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો છે, શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા સમેત શિખર એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં આજે સવારે એક અત્યંત ગંભીર ઘટના બની છે. આડા સંબંધોના કારણે પતિએ પત્ની પર ગોળીબાર કરીને પોતે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. જેમાં પતિએ પત્ની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ પોતે જ ગોળી મારીને આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના શહેરના જામનગર રોડ પર આવેલા શિખર એપાર્ટમેન્ટમાં બની હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 42 વર્ષીય પતિ લાલજી પઢિયારે પોતાની પત્ની તૃષા પઢિયાર (ઉ.વ. 39 ) પર ફાયરિંગ કર્યું હતું. લાલજી પઢિયારે પત્ની તૃષા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેના કારણે તૃષા પઢિયારની હાલત અત્યંત ગંભીર છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પત્ની પર ફાયરિંગ કર્યા બાદ લાલજી પઢિયારે પોતે જ પોતાને ગોળી ધરબી દીધી હતી અને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે શિખર એપાર્ટમેન્ટ વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ હતી.
દોઢ મહિનાથી ચાલતા ઝઘડાનો કરુણ અંત
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 42 વર્ષીય લાલજી પઢીયાર નામના વ્યક્તિએ તેની પત્ની તૃષા પઢીયાર પર ગોળીબાર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી ઉગ્ર ઝઘડો ચાલતો હતો. ઝઘડાનું મૂળ કારણ પત્ની તૃષાના અનૈતિક સંબંધો હતા. તૃષાના સામાકાંઠા વિસ્તારમાં રહેતા તેના કૌટુંબિક ભત્રીજા વિશાલ ગોહિલ સાથે આડા સંબંધો હતા, જેની જાણ પતિ લાલજીને થઈ હતી.
મહિલા મિત્રના ઘરે પહોંચી પતિએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
અનૈતિક સંબંધોની જાણ થતાં જ પત્ની તૃષા છેલ્લા દોઢ મહિનાથી તેના પતિથી અલગ થઈને તેની એક મહિલા મિત્રના ઘરે રહેતી હતી. આજે સવારે લાલજી પઢીયાર પત્નીની મહિલા મિત્રના ઘરે પહોંચ્યા હતા અને એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં જ પત્ની તૃષા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ લાલજી પઢીયારે પોતે જ પોતાને ગોળી મારી દીધી હતી.
પતિનું ઘટનાસ્થળે મોત, પત્નીની હાલત ગંભીર
આ ગોળીબારમાં પતિ લાલજી પઢીયારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ પત્ની તૃષા પઢીયારને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ડીસીપી, એસીપી અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને ઘટનાની વિગતો મેળવવા માટે વધુ તપાસ શરૂ કરી છે.




