National

દેશના 53માં ચીફ જસ્ટિસ બન્યા જસ્ટિસ સૂર્યકાંત, 15 મહિનાનો રહેશે કાર્યકાળ

દેશને નવા મુખ્ય ચીફ જસ્ટિસ મળ્યા છે. જસ્ટિસ સૂર્યકાંતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ 53માં CJI તરીકે શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન ભૂટાન,મલેશિયા,નેપાળ અને શ્રીલંકા સહિત કેટલાક દેશના મુખ્ય ચીફ જસ્ટિસ પણ હાજર રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે આ શપથ સમારોહ ઐતિહાસિક રહ્યો હતો કેમ કે જસ્ટિસ સૂર્યકાંતના શપથ સમારોહમાં સાત દેશના જજો સામેલ થયા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ,ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.

કોણ છે નવા સીજેઆઈ 

નવા સીજેઆઈ સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો. તેમનો પરિવાર મધ્યમ વર્ગનો પરિવાર હતો. ત્યાંથી જ તેમણે કાયદા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. ત્યાંથી જ, ન્યાયાધીશ સૂર્યકાંત દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર પહોંચ્યા છે. તેઓ 2011માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદાના માસ્ટરમાં “પ્રથમ વર્ગમાં પ્રથમ” ક્રમ મેળવવાનું ગૌરવ પણ ધરાવે છે. 

15 મહિનાનો રહેશે કાર્યકાળ

જસ્ટિસ સૂર્યકાંતને આ વર્ષની 30 ઓક્ટોબરે આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર લગભગ 15 મહિના સુધી સેવા આપશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027 ના રોજ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. તેમણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અનેક નોંધપાત્ર ચુકાદાઓ આપ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંતને 5 ઓક્ટોબર, 2018 ના રોજ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આર્ટિકલ 370 સહિતના ચુકાદા આપી ચુક્યા છે

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકેનો તેમનો કાર્યકાળ કલમ 370 નાબૂદ કરવા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને નાગરિકતાના અધિકારો અંગેના તેમના નિર્ણયો માટે જાણીતો છે. જસ્ટિસ સૂર્યકાંત તે બેન્ચનો ભાગ હતા જેણે તાજેતરમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો સાથે વ્યવહાર કરવામાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે રાષ્ટ્રપતિની સલાહ અરજીની સુનાવણી કરી હતી. આ નિર્ણયની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને તેની તમામ રાજ્યો પર અસર પડી શકે છે. તેઓ તે બેન્ચનો ભાગ હતા જેણે વસાહતી યુગના રાજદ્રોહ કાયદા પર રોક લગાવી હતી અને નિર્દેશ આપ્યો હતો કે સરકાર તેની સમીક્ષા ન કરે ત્યાં સુધી તેના હેઠળ કોઈ નવી FIR નોંધવામાં આવશે નહીં. જસ્ટિસ સૂર્યકાંતે ચૂંટણી પંચને બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા 65 લાખ મતદારોની વિગતો જાહેર કરવા પણ કહ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button