GUJARAT

ગુજરાતના છ જિલ્લામાં માવઠાની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો

 ગુજરાતમાં વહેલી સવારથી જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતાં શિયાળુ પાક અને કેરીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. આ આકાશી આફતે ખાસ કરીને ખેડૂતો અને સવારના સમયે ઓફિસ જતાં નોકરીયાત વર્ગની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ગુજરાતમાં વહેલી સવારથી બદલાયેલા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાની ગંભીર આગાહી કરવામાં આવી છે. આ આકાશી આફત અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને સુરતમાં પણ આગામી 3 કલાકમાં માવઠું પડવાની વકી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ અને મધ્ય ગુજરાતના છ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છવાયું છે. આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

જિલ્લાવાર વરસાદની સ્થિતિ

  • નર્મદા જિલ્લો: રાજપીપળા, ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં માવઠું પડ્યું છે, જેનાથી ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.
  • ગાંધીનગર: પાટનગરના ગ્રામ્ય વિસ્તારો સહિત કુડાસણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
  • અમદાવાદ: અમદાવાદ શહેરમાં એસ.જી. હાઈવે સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી છાંટા પડ્યા હતા. આ બદલાયેલા વાતાવરણને કારણે સવારે ઓફિસ જતી વખતે નોકરીયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો.
  • છોટાઉદેપુર: વહેલી સવારથી અહીં આકાશી આફત જેવો માહોલ છે. ખાસ કરીને કેરીના પાકમાં ભારે નુકસાન થવાની સંભાવનાને પગલે બાગાયતી ખેડૂતો ચિંતિત બન્યા છે.
  • ભરૂચ (અંકલેશ્વર): અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ માવઠું થતાં ખેતીના પાક પર ખતરો ઉભો થયો છે.

દેશના અનેક ભાગોમાં જ્યાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં હવે અચાનક બદલાતા હવામાને લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાક દરમિયાન 11 રાજ્યોમાં વરસાદ અને જોરદાર પવનનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પાકને નુકસાન થઈ શકે તેમ હોવાથી ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.   

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button