હવે વોટ ચોરીનો ‘હાઇડ્રોજન બોમ્બ ફોડીશું’, વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધી


બિહારમાં વોટર અધિકાર યાત્રાના સમાપ્ત થવાના પ્રસંગે રાહુલ ગાંધી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા.પટણામાં એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મહાદેવપુરામાં ‘વોટ ચોરી’ના રૂપમાં પરમાણુ બોમ્બ બાદ હવે જલદી હાઇડ્રોજન બોમ્બ લાવીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે અમે દેશ સામે ‘વોટ ચોરી’ના પુરાવા રજૂ કર્યા છે, વોટ ચોરીનો અર્થ લોકોના અધિકાર, લોકશાહી અને ભવિષ્યની ચોરી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, જ્યારે અમે વોટ ચોરીનો હાઇડ્રોજન બોમ્બ લાવીશું તો PM મોદી લોકોને પોતાનો ચહેરો બતાવવા લાયક પણ નહીં રહે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી તે હવે લોકશાહી અને બંધારણને ખતમ કરવા માંગે છે. અમે તેમણે આવું કરવા નહીં દઇએ. લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, ‘વોટ ચોરી’નો અર્થ અધિકાર, અનામત, રોજગાર, શિક્ષણ અને યુવાઓના ભવિષ્યની ચોરી છે.રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વોટ ચોરી બાદ લોકોના રેશન કાર્ડ અને જમીન છીનવી લેવાશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો કે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી બાદ ડબલ એન્જિન સરકાર નહીં હોય અને મહાગઠબંધનની સરકાર બનશે જે ગરીબો,મહિલાઓ, દલિતોની સરકાર હશે. ખડગેએ ‘વોટર અધિકાર યાત્રા’ સમાપ્ત થવાના પ્રસંગે આયોજિત સભામાં જનતાને આહવાન કરતા કહ્યું કે આ ચૂંટણીમાં NDA ગઠબંધનને સત્તામાંથી બહાર કરો.
ખડગેએ કહ્યું કે, યાત્રામાં વિઘ્ન નાખવા માટે પુરો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે યાત્રા પૂર્ણ કરી. કથિત વોટ ચોરીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ અધ્યક્ષે જનતાને આહવાન કરતા કહ્યું, ‘બિહારના લોકો સાવચેત રહો કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તમને ડુબાડી નાખશે.’ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘ડબલ એન્જિનની સરકાર હવે બિહારમાં નહીં હોય. જે નવી સરકાર આવશે તે ગરીબ,મહિલા,દલિત અને પછાતોની સરકાર હશે.’




