ભારે વરસાદના લીધે સાબરમતીમાં પાણી છોડાતા અમદાવાદમાં ‘વ્હાઈટ સિગ્નલ’, રિવરફ્રન્ટ કરાયો બંધ

ઉપરવાસના ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદમાં પણ સાવચેતીના ભાગરૂપે ‘વ્હાઈટ સિગ્નલ’ જાહેર કરાયું છે. ધરોઈ ડેમમાંથી 94,240 ક્યુસેક અને સંત સરોવરમાંથી 76,627 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.
આ પાણીનો પ્રવાહ બપોર સુધીમાં અમદાવાદ પહોંચશે, જેના કારણે સાબરમતી નદી તોફાની બની શકે છે. સુભાષ બ્રિજ પાસે નદીનું સ્તર 44.09 મીટરથી વધી ગયું છે, જે ગંભીર પરિસ્થિતિ સૂચવે છે. વાસણા બેરેજના 27 દરવાજા ખોલીને પાણીનો પ્રવાહ આગળ વધારવામાં આવ્યો છે.
સલામતીના ભાગરૂપે, અમદાવાદના રિવરફ્રન્ટને પણ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પ્રશાસને લોકોને નદી કિનારે અથવા રિવરફ્રન્ટના વોક-વે પર ન જવાની અપીલ કરી છે. જો પાણીનું સ્તર હજુ વધશે તો શાહપુર રિવરફ્રન્ટથી આગળના ભાગમાં રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવશે. આ એલર્ટની સ્થિતિને પગલે અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને આણંદ જિલ્લામાં પણ તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં ફરી મેઘરાજા મહેર કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સમય માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




