પનીર ખાતા હોવ તો થઈ જાઓ સાવધાન! થઈ શકે છે કેન્સર, ગુજરાતમાં મળતું 92% પનીર છે નકલી


સુરતમાંથી 315 કિગ્રા નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. વધુ ચોંકાવનારી બાબત એ પણ છે કે, નકલી પનીર સાથે ઝડપાયેલો આરોપી છેલ્લા ચાર મહિનાથી નકલી પનીરનું વેચાણ કરતો હતો. આ નકલી પનીરે કેટલા લોકોનું સ્વાસ્થ્ય બગાડયું હશે તે ચિંતાનો વિષય છે. ડૉક્ટરોના મતે, નકલી પનીર આરોગવાથી કેન્સર, અલ્સર, હૃદયમાં બ્લોકેજ થવાનું જોખમ રહે છે.
ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશન દ્વારા પણ તાજેતરમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી હોય છે. ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યભરની 300થી વધુ હોટલમાં પીરસવામાં આવતાં પનીરનો સેમ્પલ સર્વે કરવામાં આવ્યો હતો. આ સેમ્પલ સર્વેમાં જુદી જુદી હોટલોમાંથી લેવામાં આવેલાં 35 ટકાથી વધુ પનીરના સેમ્પલ ફેઈલ થયાં છે. જે નકલી પનીર અથવા ભેળસેળવાળું પનીર હોવાનું ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓર્થોરિટીના સૂત્રોએ જણાવ્યું છે.આમ, 300માંથી 100 જેટલી હોટલમાં નકલી અથવા ભેળસેળવાળું પનીર લોકોને પીરસવામાં આવતું હતું. જેના લીધે લોકો ગંભીર બીમારીનો ભોગ બની શકે છે. પનીરના સેમ્પલ સર્વેમાં ફેઈલ થયેલાં 100થી વધુ સેમ્પલમાં પામ ઓઈલ, સોયા ઓઈલ, એસિડિકની ભેળસેળ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. જે તગડો નફો કમાવવા લોકોના આરોગ્ય સાથે ચેડાં છે. સામાન્ય રીતે પનીરને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેમાં સ્ટાન્ડર્ડ પનીર જેમાં 50 ટકાથી વધુ મિલ્ક ફેટ હોય છે. જ્યારે મીડિયમ ફેટ પનીર જેમાં 20થી 50 ટકા જેટલું મિલ્ક ફેટ હોય છે જ્યારે લૉ ફેટ પનીરમાં 20 ટકા જેટલું મિલ્ક ફેટ હોય છે.
તેમાંથી સ્ટાન્ડર્ડ પનીર લોકોને ભોજન તરીકે પીરસી શકાય છે. પરંતુ નકલી કે ભેળસેળવાળુ પનીર બનાવવા માટે 10થી 15 ટકા મિલ્ક ફેટવાળા પનીરને સ્ટાન્ડર્ડ પનીર બનાવવા તેમાં પામ ઓઇલ કે સોયા ઓઈલ અને એસિડિક એસિડ ભેળવવામાં આવે છે. જે ખાવાથી લોકો જાત-જાતની ગંભીર બીમારીનો ભોગ બને છે.
ડૉક્ટરોના મતે જો કોઈ વ્યક્તિ ક્યારેક આવું ભેળસેળ યુક્ત પનીર ખાય તો તેને ટૂંકાગાળા માટે અપચો, વોમિટિંગ, ડાયેરિયા, માથાનો દુ:ખાવો, ગેસ્ટરાઈટીસ અને એલજી જેવી તકલીફો થાય છે. પરંતુ જો આવો આહાર વારંવાર કે નિયમિત લેવામાં આવે તો પેટનું અલ્સર, પેટનું કેન્સર, કોલેસ્ટ્રોલ જેવી બીમારીનું જોખમ વધે છે જેથી હૃદય અને મગજની ધમનીઓ બ્લોકેજ થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત કિડની, લીવર અને ડાયાબિટીસની પણ તકલીફ થઈ શકે છે.



