Uncategorized

ગુજરાતના 11000 ગામડાઓમાં BSNL ની 4G સેવા શરૂ, પીએમ મોદીએ સ્વદેશી ટાવરનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓને નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં સ્વદેશી 4G નેટવર્કની મોટી ભેટ આપી છે. BSNLની સિલ્વર જ્યુબિલીના અવસરે ઓડિશાના ઝારસુગાડા ખાતેથી દેશવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ લોન્ચિંગ ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરતું એક ઐતિહાસિક પગલું છે, જેના થકી ભારત દુનિયાના એ 5 દેશોમાં સામેલ થયું છે જેની પાસે પોતાનું ઘરેલું 4G ટેલિકોમ નેટવર્ક છે.

BSNL દ્વારા 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ 14,000 થી વધુ સાઇટ્સ સહિત કુલ 97,500 જેટલી નવી 4G સાઇટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 4,000 થી વધુ 4G ટાવર કાર્યરત થયા છે, જેમાંથી 600 થી વધુ ટાવર અતિ દુર્ગમ, અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં કાર્યરત થવાના છે. આના પરિણામે રાજ્યના 11,000 થી વધુ ગામડાઓને સ્વદેશી 4G મોબાઈલ સેવાનો લાભ મળશે. આ પગલું વડાપ્રધાન ના ગ્રામીણ અને છેવાડાના વિસ્તારો સુધી ડિજિટલ કનેક્ટિવિટી પહોંચાડવાના સંકલ્પને મૂર્તિમંત કરે છે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આ લોન્ચિંગને રાષ્ટ્રીય ગૌરવનો વિષય ગણાવ્યો. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત સંરક્ષણ માટે બંદૂકની ગોળીઓ પણ આયાત કરતું હતું, જ્યારે આજે દેશ સંરક્ષણ સાધનોની નિકાસ કરે છે. કોવિડ મહામારી દરમિયાન 16 જાન્યુઆરી, 2021ના રોજ વિશ્વમાં પ્રથમ ડોઝ આપ્યાના એક મહિનાની અંદર જ ભારતીય વૈજ્ઞાનિકોએ એક નહીં પણ 2 સ્વદેશી રસીઓનું સંશોધન કર્યું.

મુખ્યમંત્રીએ ગૌરવ સાથે કહ્યું કે, પહેલા વિશ્વના દેશો ભારતને માત્ર ટેલિકોમ માર્કેટ સમજતા હતા, પરંતુ હવે ભારતે વૈશ્વિક સ્તરે ટેલિકોમ ક્ષેત્રમાં સોલ્યુશન પ્રોવાઇડર અને પાર્ટનર તરીકે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ‘મેઈડ ફોર ઈન્ડિયા’ને બદલે હવે ‘મેઈડ ઈન ઈન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડ’ની ચર્ચા થઈ રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં રોડ, રેલ, મેટ્રો, એર અને સંચાર જેવા તમામ નેટવર્કમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ડિજિટલ કનેક્ટિવિટી વધવાથી ગ્રામીણ વિસ્તારોનું જીવન સરળ બન્યું છે. હવે મોબાઈલ માત્ર વાતચીતનું સાધન નથી, પરંતુ વિકાસ અને પ્રગતિનું માધ્યમ બન્યું છે.

ખેડૂતો ખેતરમાં ઊભા રહીને હવામાનનો નકશો અને પાકના વર્તમાન ભાવો જાણી શકે છે.
વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે.
જનધન-આધાર-મોબાઈલ (JAM) ત્રિપુટી દ્વારા ગરીબોને તેમનો હક સીધો મળી રહ્યો છે.
ગુજરાતમાં 14,000 થી વધુ ઈ-ગ્રામ કેન્દ્રો પર 320 થી વધુ સેવાઓ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીના કારણે ઉપલબ્ધ છે.

કેન્દ્રીય મંત્રી માંડવિયાએ ભારતની વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ (જેમ કે 3,000 કિલોમીટરની હિમાલય પર્વતમાળા, 7,000 કિલોમીટરથી વધુ દરિયાકિનારો, અને 50 ડિગ્રી તાપમાન) માં પણ સ્વદેશી ટેકનોલોજીની ઉપયોગિતા પર ભાર મૂક્યો. BSNLની 25મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય વિચાર ‘ગર્વ સે કહો યે સ્વદેશી હૈ’ હતો, જે રાષ્ટ્રની આત્મનિર્ભરતાની ભાવનાને દૃઢ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button