નકલી પનીરનું વેચાણ રોકવા આરોગ્ય વિભાગનો નવો આદેશ છુટ્યો, નહિ તો હોટલ-રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ થશે


સુરતમાં પકડાયેલા 1400 કિલો પનીરનો રિપોર્ટ આજે આવ્યો છે. ત્રણ માર્ચના રોજ પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાંથી સુરત આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં 1400 કિલો પનીર, ચીઝના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા હતા. આજે આ રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. આ પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને બીઆર રેટિંગ વધુ હોવાનું સામે આવ્યું છે. તેમજ વેજ ઓઈલ પણ મળી આવ્યું છે. ત્યારે ગુજરાતમાં વધતા નકલી પનીર સામે આરોગ્ય વિભાગમાંથી નવા આદેશ છુટ્યા છે. હવે હોટલ સંચાલકોએ ફરજિયાત બોર્ડ મારવા પડશે કે પનીર અસલી છે કે એનાલોગ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે કડક સૂચના આપી.
ગુજરાતભર સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ વધી રહ્યું છે. જેને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપી છે કે, હવેથી ગુજરાતની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે ‘એનાલોગ’, તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે.
ગુજરાતમાં નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. અખાદ્ય પનીર મળી આવવાના મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાન્સેરિયાએ કહ્યું કે, આવું પનીર ખાવું હાનિકારક છે. આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. સંચાલક વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. અખાદ્ય પનીર મળી આવ્યું છે. સુરતમાં 50 કરોડના ખર્ચે લેબ બનાવવામાં આવી રહી છે. જેમાં 32 વેહિકલ તપાસ માટે રાખવામાં આવ્યા છે. એનાલોગ પનીર બાબતે પરિપત્ર આપી ફૂડ સેફટી અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એનાલોગ પનીર અંગે નોટિફિકેશન બહાર પાડવા અંગે વિચારણા ચાલી રહી છે. આચારસંહિતા બાદ નિર્ણય લેવાશે.
આરોગ્ય મંત્રીએ આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. જેમાં તેઓએ કહ્યું કે, હોટલ સંચાલકો પોતાનો નફો વધારવા માટે સસ્તા પનીરનો વપરાશ કરે છે. આ પ્રકારના સબ-સ્ટાન્ડર્ડ પનીરો વપરાશ સતત વધી રહ્યો છે. તેઓએ બેઠકમાં કડક સૂચના આપી કે, ગ્રાહકો શું ખાઈ રહ્યા છે તે જાણવાનો તેમને પૂરતો અધિકાર છે. તેથી હવેથી હોટલના કાઉન્ટર તથા મેનુ પર એનાલોગ પનીર અંગે માહિતી ફરજિયાતપણે આપવી પડશે. આ આદેશનું પાલન ન કરનાર પર કાર્યવાહી થશે, તેમજ તેનું લાયસન્સ પણ રદ થશે.
જેને એનાલોગ પનીર કહેવાય છે તે અસલી પનીર નથી. તે ખાવામાં અને દેખાવમાં પનીર જેવું જ લાગે છે. એક તરફે કહીએ તો તે, પનીરની ફર્સ્ટ કોપી છે. આખરે કેવી રીતે તે બને છે તે જાણીએ. જેને બજારમાં એનાલોગ પનીર તરીકે વેચવામા આવે છે, તે વેજિટેબલ ઓઈલ મિક્સ કરીને બનાવવામાં આવી છે. તેને બનાવવામાં ડેરી પ્રોડક્ટનો ઉપયોગ થતો નથી. તેને બનાવવા માટે વેજિટેબલ ઓઈલની સાથે નટ્સ, સોયા, ટેપિઓકા, ફેટ વગેરેનો વપરાશ થાય છે. તે જોવામાં તો ઓરિજિનલ પનીર જેવું જ હોય છે. ખાસ કરીને તેનો ઉપયોગ સસ્તા પનીર તરીકે થાય છે. FSSAI ના નિયમો અનુસાર, એનાલોગ પનીરને ટેકનિકલ રીતે ડેરી પ્રોડક્ટ ન કહી શકાય. કારણ કે, તેમાં કોઈ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ થતો નથી, તેથી તેના પર ડેરી પ્રોડક્ટ લખીને વેચી શકાતુ નથી. તેને નોન-ડેરી પ્રોડક્ટ તરીકે જ વેચી શકાય છે.



