કોડીનારના BLO શિક્ષકે SIR કામગીરીના દબાણથી કરી આત્મહત્યા, શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવનાર શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર-40) આત્મહત્યા કરી છે. તેમણે આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી છે. તેમાં ઉલ્લેખ કર્યો હતો કે હું ઘણા સમયથી તણાવમાં છું અને સતત થાક પણ અનુભવું છું, માટે હું આત્મહત્યા કરી રહ્યો છું.
પ્રાપ્ત વિગતો અનુસાર અરવિંદભાઈ વાઢેર 2010થી શિક્ષક તરીકે સેવામાં હતા. હાલમાં શિક્ષકોને BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. અરવિંદભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ SIRની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે ઉદ્ભવેલા માનસિક તણાવને લીધે તેમણે આ પગલું ભર્યું છે.
આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર લાદવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલની સ્થિતિ એવી છે કે, ‘સરની કામગીરીના કારણે બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદાતાને શોધે છે અને મતદારો મતદારયાદીમાં નામ શોધે છે.’SIRની કામગીરીમાં શિક્ષકો જોતરાયેલા હોવાથી શાળાઓ સુમસામ ભાસી રહી છે અને શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે.’
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું.શિક્ષક સંઘમાં રોષ આ ઘટના બાદ શિક્ષક સંઘમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંઘે આક્ષેપ કર્યો છે કે BLOની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે, તેના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. શિક્ષકોને ભણાવવાને બદલે અન્ય કામગીરીમાં જોતરી દેવાતા આવા ગંભીર પરિણામો આવી રહ્યા હોવાનું સંઘનું કહેવું છે.



