વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ આઉટ, સરકારના કડક નિયમો જાહેર

કેન્દ્ર સરકારે સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે, જેની સીધી અસર વોટ્સએપ (WhatsApp), ટેલિગ્રામ (Telegram), સિગ્નલ અને શેરચેટ જેવી મેસેજિંગ એપ્સના કરોડો યુઝર્સ પર પડશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની નવી માર્ગદર્શિકા મુજબ, હવે આ એપ્સનો ઉપયોગ કરવા માટે મોબાઈલ ડિવાઈસમાં ‘એક્ટિવ સિમ કાર્ડ’ હોવું ફરજિયાત બની ગયું છે. આ ઉપરાંત, જે લોકો લેપટોપ કે ડેસ્કટોપ પર વેબ વર્ઝનનો ઉપયોગ કરે છે, તેમણે હવે દર 6 કલાકે ફરજિયાત લોગ આઉટ થવું પડશે અને ફરીથી લોગિન કરવું પડશે. આ નવા નિયમો આગામી 90 દિવસની અંદર અમલમાં મૂકવામાં આવશે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, મેસેજિંગ એપ્સને હવે ‘સિમ બાઈન્ડિંગ’ ટેકનોલોજી સાથે જોડવી પડશે. અત્યાર સુધી આ નિયમ માત્ર Google Pay કે PhonePe જેવી UPI અને બેંકિંગ એપ્સ પૂરતો મર્યાદિત હતો, જ્યાં સિમ કાર્ડ ફોનમાં હોય તો જ એપ ચાલે. હવે દેશમાં પ્રથમ વખત મેસેજિંગ એપ્સ પર પણ ટેલિકોમ સેવાઓ જેવા કડક નિયમો લાગુ થશે.
અસર: જો તમારા મોબાઈલ કે ટેબ્લેટમાં તે જ નંબરનું મૂળ સિમ કાર્ડ હાજર નહીં હોય, તો એપ કામ કરશે નહીં. સિમ કાઢી નાખતાની સાથે જ એપ પણ નિષ્ક્રિય થઈ જશે.
આ માર્ગદર્શિકામાં સૌથી મોટો ફેરફાર વેબ બ્રાઉઝર (WhatsApp Web) યુઝર્સ માટે છે. હાલમાં એકવાર QR કોડ સ્કેન કર્યા પછી દિવસો સુધી લોગિન રહી શકાય છે, પરંતુ હવે એવું નહીં ચાલે.
નવો નિયમ: સુરક્ષાના ભાગરૂપે, એપ દર 6 કલાકે ઓટોમેટિક લોગ આઉટ થઈ જશે.
ફરીથી લોગિન: યુઝરે ફરીથી ચેટિંગ શરૂ કરવા માટે મોબાઈલ દ્વારા QR કોડ સ્કેન કરવો પડશે. આ માટે મોબાઈલમાં સિમ એક્ટિવ હોવું ફરજિયાત રહેશે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર છેતરપિંડી અને ગુનાખોરી પર લગામ લગાવવાનો છે. DoT ના નિરીક્ષણ મુજબ, સાયબર અપરાધીઓ એકવાર એપ ઇન્સ્ટોલ કર્યા પછી સિમ કાર્ડ કાઢી નાખે છે અથવા તો ભારત બહારના વર્ચ્યુઅલ નંબરો પરથી વોટ્સએપ ચલાવીને ફ્રોડ કરે છે.
ટ્રેકિંગ: સિમ બાઈન્ડિંગ થવાથી તપાસ એજન્સીઓ માટે સબસ્ક્રાઈબરનું લોકેશન અને પ્રવૃત્તિ ટ્રેક કરવી સરળ બનશે. આનાથી ફેક એકાઉન્ટ્સ અને અનામી રહીને થતા ગુનાઓ અટકશે.




