ડોકલામ અને ચીની ઘૂસણખોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન, લોકસભામાં જોરદાર હંગામો


આજે સંસદના ચાલુ બજેટ સત્રનો ચોથો દિવસ છે. બજેટ સત્ર 29 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના ભાષણથી શરૂ થયું હતું. બીજા દિવસે નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો હતો. ત્રીજા દિવસે 1 ફેબ્રુઆરીએ, નાણામંત્રીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આજે બજેટ સત્રનો ચોથો દિવસ છે. રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી બોલી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ડોકલામ પર પૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરી બોલાવાનું શરુ કર્યું. તેને લઈ રાજનાથ સિંહ ઉભા થઈ ગયા અને લોકસભામાં જોરદાર હંગામો થયો. સ્પીકરે રાહુલ ગાંધીને ઓથેંટિંકેટ કરવાનું કહ્યું હતું. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ડોકલામમાં ચાર ચીની ટેન્ક ભારતીય ક્ષેત્રમાં લગભગ 100 મીટર ઘૂસી ગયા હતા.
રાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે, જેના પર લોકસભામાં હંગામો થયો. રાજનાથ સિંહે કહ્યું કે જે પુસ્તક પ્રકાશિત નથી થઈ તેનો ઉલ્લેખ કેમ કરવામાં આવી રહ્યો છે. રાજનાથ સિંહે કહ્યું, રાહુલ ગાંધી સદનને ગુમરાહ ન કરે. રાહુલ ગાંધીએ ડોકલામ અને ચીની ઘૂસણખોરી પર પોતાનું નિવેદન શરૂ કરતાં જ રાજનાથ સિંહે તથ્યોની સત્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર પુસ્તકના પ્રકાશનને અટકાવી રહી છે.
રાહુલે કહ્યું, “મને બોલવાનો સમય આપવા બદલ આભાર. યુવા સાથીએ કોંગ્રેસ પર આરોપો લગાવ્યા છે. હું તેની ચર્ચા નહીં કરું. પણ હું કંઈક વાંચીને શરૂઆત કરીશ. આ આર્મી ચીફ નરવણેના સંસ્મરણો છે. તમે બધા, હું જે વાંચી રહ્યો છું તે ધ્યાનથી સાંભળો તેનાથી ખબર પડશે કે કોણ દેશભક્ત છે અને કોણ નથી.” આ પછી, હોબાળો શરૂ થયો.
બાદમાં રાહુલ ગાંધીએ એક મેગેઝિનના લેખને કોટ કરવાની વાત કહી, તેના પર પણ ટ્રેઝરી બેન્ચ દ્વારા હંગામો થયો. રક્ષા મંત્રીએ વાંધો ઉઠાવતા કહ્યું કે તેમને આમ કરવાની મંજૂરી ન આપવી જોઈએ. અખિલેશ યાદવે ચીનના મુદ્દાને સંવેદનશીલ ગણાવતા કહ્યું કે જો કોઈ સૂચન રાષ્ટ્રીય હિતમાં હોય તો વિપક્ષી નેતાએ તે વાંચવું જોઈએ.




