મથુરા: ટૉઇલેટ કરવા ઉતરેલા 7 લોકોને કન્ટેનરે કચડી નાખ્યા, છ લોકોના ઘટનાસ્થળે મોત


ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો. યમુના એક્સપ્રેસ વે પર એક સ્પીડમાં આવતા કન્ટેનરે સાત લોકોને કચડી નાખ્યા. જેમાંથી છ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા અને એકની હાલત ગંભીર છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે મુસાફરો સ્લીપર બસમાંથી ઉતરીને ઊભા હતા, ત્યારે એક કન્ટેનર આવ્યું અને બેકાબૂ થઈને તેમના પર ચડી ગયું.
આ અકસ્માત સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વેના માઇલસ્ટોન 88 નજીક થયો. બસ દિલ્હીથી કાનપુર જઈ રહી હતી. રસ્તામાં, કેટલાક મુસાફરો પેશાબ કરવા માટે યમુના એક્સપ્રેસ વે પરથી ઉતર્યા, જે પછી કેટલાક અન્ય મુસાફરો પણ ઉતરીને રસ્તા પર ઉભા હતા. દરમિયાન, એક કન્ટેનર સ્પીડમાં આવ્યું અને બસમાંથી ઉતરેલા મુસાફરોને ટક્કર મારી દીધી. મુસાફરો સમજી શકે કે એ પહેલા જ કન્ટેનર તેમના પર ચડી ગયું. અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા જ્યારે એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેની હાલત અત્યંત નાજુક છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેન્કર ખૂબ જ સ્પીડમાં આવી રહ્યું હતું, જેના લીધે ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો અને બસની નજીક ઉભેલા લોકોને કચડી નાખ્યા. બેદરકારી અને સ્પીડને કારણે આ અકસ્માત થયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ અને તપાસ શરૂ કરી દીધી. આ ઘટના રાત્રે 2:45 વાગ્યાની આસપાસ બની હોવાના અહેવાલ છે.
અકસ્માત બાદ લોકોમાં અફરાતફરી મચી ગયો. આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા અને મોટી ભીડ એકઠી થઈ ગઈ. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસે તમામ મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહો તેમને સોંપવામાં આવશે.
ગયા મહિને પણ યમુના એક્સપ્રેસવે પર બે મોટા અકસ્માતો થયા હતા. 22 જાન્યુઆરીએ મથુરા વિસ્તારમાં યમુના એક્સપ્રેસવે પર એક સ્લીપર કોચ/ડબલ-ડેકર બસમાં અચાનક આગ લાગી હતી. માઇલસ્ટોન 110 નજીક થયેલા અકસ્માતમાં બધા મુસાફરોનો માંડ માંડ બચાવ થયો હતો. આ બસમાં 60 થી વધુ મુસાફરો હતા, જેમાંથી ઘણાએ બસમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. દરમિયાન, 28 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસને કારણે અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. સાત બસો અને ત્રણ કાર એક પછી એક અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.




