40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ: અંબાલાલ


ગુજરાતમાં હવામાનને લઈને ફરી એકવાર ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટા પાયે ફેરફારો થવાની આગાહી કરી છે. જે ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે. આ આગાહીએ સૂચવ્યું છે કે રાજ્યમાં કમોસમી વરસાદ, તેજ પવન અને વાવાઝોડાની શક્યતાઓને કારણે કૃષિ ક્ષેત્ર પર અસર પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 26 માર્ચ પછી પશ્ચિમિ વિક્ષેપના પ્રભાવને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળશે. આ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે. સાથે જ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે. ખાસ કરીને ઉભા પાકોને નુકસાન થવાની ભીતિ વધી છે.
હવામાન નિષ્ણાતે આગળ જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં હવામાનમાં અનેક વખત પલટો આવી શકે છે. ખાસ કરીને એપ્રિલના બીજા સપ્તાહ દરમિયાન રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે. આ બદલાતા હવામાનને કારણે ખેડૂતોને તેમના પાકને લઈને વધારે સાવચેતી રાખવાની જરૂર રહેશે. સતત બદલાતા વાતાવરણને કારણે કૃષિ પ્રવૃત્તિઓમાં અવરોધ ઉભો થઈ શકે છે અને ઉત્પાદન પર પણ તેની સીધી અસર પડી શકે છે.
“પશ્ચિમી વિક્ષોભના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વાદળ રહેવાની શક્યતા છે. ક્યાંક છાંટા પડી શકે છે. પશ્ચિમી વિક્ષોભ 26 માર્ચ પછી આવવાની શક્યતા છે. જેની અસર ગુજરાત પર 29 માર્ચથી એપ્રિલ મહિના સુધી રહેવાની શક્યતા છે. જેમાં ગુજરાતના ભાગો પણ પ્રભાવિત થશે. ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એપ્રિલના બીજા સપ્તાહમાં પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. 10 એપ્રિલ થી 20 એપલરીલ વચ્ચે હવામાનમાં પલટો આવશે. પ્રી મોન્સુન એક્ટિવિટી રહેશે અને કરા પાડવાની પણ શક્યતા રહેલી છે.”
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 10 મે થી 20 મે વચ્ચે ફરી એકવાર હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. 20 મે પછી અરબ સાગર સક્રિય બનવાની શક્યતા છે, જેના કારણે વાવાઝોડું સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ બંગાળની ખાડીમાં પણ હવામાન સક્રિય રહેવાની આગાહી કરવામાં આવી છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોને આગળના દિવસોમાં સતર્ક રહેવાની જરૂર છે. જેથી તેઓ સંભવિત નુકસાનને ઓછું કરી શકે.




