સરકારની અપીલ છતાં અમદાવાદમાં આજે વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી


છેલ્લા કેટલાક કલાકોથી ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચારો વહેતા થયા છે, જેને પગલે ગત રોજ વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તો બીજી તરફ ગત રોજ સરકારે અપીલ કરી હતી કે પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે છતાં પણ આજે વહેલી સવારથી જ કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી. શહેરના બોડકદેવ, શાસ્ત્રીનગર, સોલા રોડ પર સવારથી જ લોકો પેટ્રોલ ભરાવવા ઉભા રહ્યા હતા.
રાજ્યના અધિક મુખ્ય સચિવે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક પાસે પૂરતો જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર આ બાબતે સતત મોનિટરિંગ કરી રહી છે.
IOCLની ખાતરી: ડેપોમાં પૂરતી ઇન્વેન્ટરી ઉપલબ્ધ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના સ્ટેટ નોડલ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે આ અંગે નિવેદન આપ્યું છે કે, ગુજરાતના તમામ પેટ્રોલ-ડીઝલ ડેપો અને ટર્મિનલ્સમાં ઇંધણની પૂરતી ઇન્વેન્ટરી (સ્ટોક) ઉપલબ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકોએ પંપ પર ખોટી ભીડ કરવાની જરૂર નથી, રાજ્યમાં ગમે ત્યારે જરૂર મુજબનું ઈંધણ મળી રહેશે.સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજ કે અફવાઓથી દોરાઈને પંપ પર ભીડ ન કરવા તેમણે વિનંતી કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ સમસ્યા સર્જાશે નહીં.




