રાજ્યસભામાં પણ મોદીની ચેતવણી:આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે એમ છે, દેશ તૈયાર રહે; શાંત મનથી આપણે દરેક પડકારો ઝીલવાના છે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર 21 મિનિટ સુધી વાત કરી. તેમણે કહ્યું કે જો અમેરિકા-ઇઝરાયલનું ઈરાન સાથે યુદ્ધ ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો આવશે. આવનારો સમય દેશની સૌથી મોટી કસોટી લેવાનો છે. આમાં રાજ્યોનો સહયોગ જરૂરી છે. ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે.
તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં આપણા જહાજો અને ભારતીય ક્રૂ ફસાયેલા છે. આ ચિંતાજનક છે. આપણા વેપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે. ગેસ-તેલ, ખાતરો જેવી આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પડી છે.
એક દિવસ પહેલા પીએમએ લોકસભામાં 25 મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ યુદ્ધને કારણે દુનિયામાં જે મુશ્કેલ પરિસ્થિતિઓ સર્જાઈ છે, તેની અસર લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. તેથી આપણે તૈયાર રહેવું પડશે. આપણે કોરોનાના સમયમાં પણ એકતાથી આવા પડકારોનો સામનો કરી ચૂક્યા છીએ.
PM મોદીના ભાષણની 8 મોટી વાતો…
ઊર્જા સંકટથી ભારત પણ પ્રભાવિત – પશ્ચિમ એશિયામાં યુદ્ધથી આખી દુનિયામાં ઊર્જા સંકટ છે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ફર્ટિલાઇઝરનો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો ફસાયા, ભારતીયો પણ પ્રભાવિત – હોર્મુઝ સ્ટ્રેટમાં ઘણા જહાજો ફસાયા છે, જેમાં ભારતીય ક્રૂ પણ હાજર છે. આ ભારત માટે ચિંતાનું મોટું કારણ છે.
ભારત શાંતિ અને સંવાદની વાત કરી રહ્યું છે – ભારતે સ્પષ્ટ કહ્યું છે કે સમાધાન વાતચીતથી નીકળે. કોમર્શિયલ જહાજો પર હુમલો સ્વીકાર્ય નથી.
દુનિયાના દેશો સાથે સતત સંપર્કમાં ભારત – ભારત વેસ્ટ એશિયા, ગલ્ફ દેશો, અમેરિકા અને ઇઝરાયલ સાથે સતત સંપર્કમાં છે.
ઊર્જા પુરવઠો જાળવી રાખવા સરકાર સક્રિય – ભારત હવે 41 દેશોમાંથી ઊર્જા આયાત કરી રહ્યું છે. સરકાર સતત પુરવઠો જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.
ભારતે આયાતના સ્ત્રોત વધાર્યા – પહેલા ભારત 27 દેશોમાંથી ઊર્જા લેતું હતું, હવે 41 દેશોમાંથી લઈ રહ્યું છે. આનાથી પુરવઠામાં લવચીકતા આવી છે.
ભારતીયોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા – યુદ્ધ વચ્ચે અત્યાર સુધીમાં 3.75 લાખથી વધુ ભારતીયોને સુરક્ષિત પાછા લાવવામાં આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને પણ બહાર કાઢવામાં આવ્યા.
લાંબા સમય સુધી સંકટ ચાલશે તો ગંભીર અસર પડશે – સરકારે કહ્યું કે હાલમાં પુરવઠો સંભાળવામાં આવી રહ્યો છે, પરંતુ જો પરિસ્થિતિ લાંબા સમય સુધી આવી જ રહેશે તો મોટા આર્થિક અને પુરવઠા સંકટ ઊભા થઈ શકે છે.



