Business

રેપો રેટમાં કોઇ જ ફેરફાર નહીં, 5.25% પર યથાવત્, જાણો તમારા EMI પર શું અસર થશે?

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિ સમિતિની મહત્ત્વપૂર્ણ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં છ સભ્યોની MPC એ બુધવાર, 3 જૂનના રોજ તેની ત્રણ દિવસીય નીતિ વિષયક બેઠકની શરૂઆત કરી હતી, જેના પરિણામો આજે જાહેર કરાયા છે.

ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે રેપો રેટ (Repo Rate) ને 5.25% પર જ યથાવત રાખવામાં આવ્યો છે. મધ્યમ વર્ગ માટે આ એક ખૂબ જ રાહતના સમાચાર છે, કારણ કે આ નિર્ણયના લીધે તમારી લોનના હોમ લોન કે કાર લોન જેવા EMIમાં કોઈ વધારો થશે નહીં અને વ્યાજ દરો સંપૂર્ણપણે સ્થિર રહેશે

ગવર્નરે દેશના અર્થતંત્રને સંબોધતા જણાવ્યું હતું કે, હાલમાં વૈશ્વિક સ્તરે ઘણી બધી કેન્દ્રીય બેંકો મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દરોમાં સતત વધારો કરી રહી છે. આ આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પણ ભારતીય રિઝર્વ બેંકે પોતાની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાની હિંમત બતાવી છે.

અત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને સપ્લાય ચેઇનના વિક્ષેપોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી અસ્થિરતા સર્જાઈ છે. જોકે, આ તમામ નકારાત્મક વૈશ્વિક પરિબળો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર અત્યંત મજબૂત સ્થિતિમાં છે. આ મુશ્કેલ સમયમાં પણ આપણું બજાર અને અર્થતંત્ર ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે અને સ્થિરતા જાળવી રાખવામાં સફળ રહ્યા છે.જો અગાઉના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો, RBI એ ફેબ્રુઆરી 2025 થી અત્યાર સુધીમાં કુલ 125 પોઈન્ટનો દર ઘટાડ્યો છે. જોકે, છેલ્લી નાણાકીય નીતિ બેઠક બાદ વ્યાજ દરોમાં કોઈ નવો ફેરફાર કરવામાં આવ્યો નથી. ફુગાવા એટલે કે મોંઘવારીના મોરચે પણ ભારત માટે રાહતના સંકેત છે. દેશમાં છૂટક ફુગાવો એપ્રિલ 2026 માં સહેજ વધીને 3.48% થયો હતો, જે હજુ પણ RBI ના મધ્યમ ગાળાના નિર્ધારિત લક્ષ્યાંક 4% ની નીચે જ રહ્યો છે. આ વખતે સેન્ટ્રલ બેંક સામે ક્રૂડ ઓઇલના સતત વધી રહેલા ભાવો, વૈશ્વિક બજારમાં રૂપિયાનું થતું અવમૂલ્યન અને ભવિષ્યમાં વધતા ફુગાવાના ભય જેવા અનેક આકરા પડકારો હોવા છતાં, આ સંતુલિત નિર્ણય લેવામાં આવ્યો છે જે દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button