માવઠાનો માર! શાકભાજીનો ભાવ પહોંચ્યો આસમાને, પ્રતિકિલોએ 10થી 20નો વધારો

કમોસમી વરસાદને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થવાને લીધે શાકભાજીના ભાવમાં 10-20 રૂપિયાનો વધારો થયો છે અને આણંદમાં શાકભાજીના ભાવ વધતાં લોકોના બજેટ પર અસર થઈ છે સાથે જ શાકભાજીના વેપારીઓની આવકમાં પણ ઘટાડો થયો છે.
આણંદ જિલ્લામાં કમોસમી વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. પરિણામે શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. માર્કેટ યાર્ડમાં દરરોજ આવક થતી શાકભાજીમાં આ અઠવાડિયે 30 થી 40 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આવક ઘટતાં માર્કેટમાં ભાવો આકાશને અડી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી બાદ શાકભાજીના ભાવ ઘટતા હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત રહી છે. વરસાદને કારણે પાકનું નુકસાન થવાથી લોકોના રસોડાનો બજેટ બગડી ગયો છે.
આવક ઘટતા દરેક શાકભાજીના ભાવમાં પ્રતિ કિલો 10 થી 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. નવરાત્રી દરમિયાન 20 રૂપિયામાં મળતી ડુંગળી હવે 30 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. લીલી તુવેર 60 રૂપિયા, લીલી ડુંગળી 50 રૂપિયા, મેથી 50 રૂપિયા, પાલક 60 રૂપિયા અને ગવાર 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ટામેટા 40 રૂપિયા, ટીંડોડા 50 રૂપિયા, જ્યારે મરચાં અને ભીંડા 80 રૂપિયા પ્રતિ કિલો સુધીના દરે વેચાઈ રહ્યા છે. ભાવોમાં થયેલા આ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના રસોડામાં મોંઘવારીનો માર લાગી રહ્યો છે.




