GUJARAT

દિવાળીમાં બસોની નહી પડે તંગી, સરકાર દ્વારા નવી 201 બસોને લીલી ઝંડી અપાઇ

ગુજરાતના નાગરિકોની પરિવહન સેવા-સુવિધામાં થયો વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સેવામાં નવીન 201 એસ.ટી. બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ થાય છે. દિવાળીના તહેવારમાં સુદ્રઢ યાતાયાત સુવિધા સુનિશ્ચિત કરવા 4200 એક્સ્ટ્રા બસ સંચાલનનો પ્રારંભ કરાવાયો છે. એસ.ટી.નિગમ પ્રતિદિન 8000 થી વધુ બસોના સંચાલન થકી 27 લાખથી વધુ મુસાફરોને યાતાયાત સેવાઓ પૂરી પાડે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતેથી એસ.ટી. નિગમની નવી 201 બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ થાય છે.ગાંધીનગર ખાતે યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રીએ બસનું વિધિવત રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઇવર-કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એકસ્ટ્રા 4200 બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

તાજેતરમાં જ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા માટે 28,0000 થી વધુ, પવાગઢ આસો નવરાત્રિ માટે 22,000 થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 7000 થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8,000 થી વધુ બસો દ્વારા પ્રતિદિન 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને રાજ્યના 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button