‘રશિયા પાસેથી તેલ નહીં ખરીદે ભારત’, ટ્રમ્પનો દાવો-PM મોદીએ આપ્યું છે આશ્વાસન


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત વિશે વધુ એક મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. ટ્રમ્પે આને એક મોટું પગલું ગણાવ્યું અને કહ્યું કે તે યુક્રેન યુદ્ધ પર રશિયાને અલગ પાડવાના તેમના પ્રયાસોનો એક ભાગ છે.
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ રશિયાના ક્રૂડ ઓઇલની ભારત દ્વારા સતત આયાત અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે અંગે વોશિંગ્ટનનું માનવું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુદ્ધોને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે. ટ્રમ્પે કહ્યું હતું કે”તેથી જ હું ખુશ નહોતો કે ભારત તેલ ખરીદી રહ્યું છે,”
તેમણે વધુમાં દાવો કર્યો હતો કે “અને તેમણે (વડા પ્રધાન મોદી) આજે મને ખાતરી આપી હતી કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. તે એક મોટું પગલું છે. હવે આપણે ચીનને પણ આવું જ કરવા કહેવું પડશે.”
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઊર્જા નીતિ પર મતભેદો હોવા છતાં વડા પ્રધાન મોદી અમારા નજીકના સાથી છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ચીન સાથેના તણાવ વચ્ચે ભારતને વિશ્વસનીય ભાગીદાર માને છે ત્યારે તેમણે કહ્યું, “તેઓ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) મારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે.”
યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની તેલ ખરીદીએ રશિયાના યુક્રેન પર સતત આક્રમણમાં પરોક્ષ રીતે ફાળો આપ્યો છે. તેમણે કહ્યું કે સતત વેપાર રશિયાને આ હાસ્યાસ્પદ યુદ્ધ ચાલુ રાખવાની મંજૂરી આપે છે જેમાં તેણે 150,000 લોકો ગુમાવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, “આ એક એવું યુદ્ધ છે જે ક્યારેય શરૂ થવું જોઈતું ન હતું, પરંતુ તે એક એવું યુદ્ધ છે જે રશિયાએ પહેલા અઠવાડિયામાં જ જીતવું જોઈતું હતું અને તેઓ તેના ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. હું તેને બંધ થતું જોવા માંગુ છું.” ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે મોદી પાસેથી ખાતરી માંગવી એ મોસ્કોના ઉર્જા આવકમાં ઘટાડો કરવાના તેમના રાજદ્વારી પ્રયાસનો એક ભાગ હતો. તેમણે કહ્યું, “હવે આપણે ચીનને પણ એવું જ કરવા માટે મજબૂર કરવું પડશે. ગયા અઠવાડિયે મધ્ય પૂર્વમાં જે કર્યું તેના કરતાં ચીન પર દબાણ કરવું વધુ સરળ બનશે.”
ટ્રમ્પે એમ પણ કહ્યું કે મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. “આ તાત્કાલિક કરવું સરળ નથી પરંતુ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે. અમે ફક્ત ઇચ્છીએ છીએ કે રાષ્ટ્રપતિ પુતિન યુદ્ધ બંધ કરે, યુક્રેનિયનોને મારવાનું બંધ કરે અને રશિયનોને મારવાનું બંધ કરે કારણ કે તેઓ ઘણા રશિયનોને મારી રહ્યા છે, બંને નેતાઓ (વોલોડીમીર ઝેલેન્સ્કી અને વ્લાદિમીર પુતિન) વચ્ચેનો દ્વેષ ખૂબ જ મોટો છે અને આ એક અવરોધ છે. પરંતુ મને લાગે છે કે આપણે તેનો ઉકેલ શોધી કાઢીશું. જો ભારત તેલ નહીં ખરીદે તો વસ્તુઓ સરળ બનશે. યુદ્ધ સમાપ્ત થયા પછી ભારત ફરીથી રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે.
નોંધનીય છે કે ભારત વારંવાર રશિયા પાસેથી તેની તેલની આયાતનો બચાવ કરે છે, તેને તેની ઉર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટે આવશ્યક ગણાવે છે.




