દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હવા પ્રદૂષણની વિરુદ્ધમાં રવિવારે ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહેલા અનેક લોકોની અટકાયત કરવા પર સરકારની ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે શાંતિપૂર્ણ રીતે સ્વચ્છ હવાની માંગ કરી રહેલા નાગરિકો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સ્વચ્છ હવાની માંગ કરી રહેલા નાગરિકો પર હુમલો કરવાને બદલે વાયુ પ્રદૂષણ સામે લડવા માટે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવા જોઈએ.’
કોંગ્રેસના સાંસદે પર્યાવરણવાદી વિમલેન્દુ ઝાની એક પોસ્ટના જવાબમાં આ ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે વિરોધીઓને ઉપાડીને બસોમાં બેસાડવામાં આવ્યા હતા. દિલ્હીમાં બગડતી હવાની ગુણવત્તા સામે રવિવારે ઈન્ડિયા ગેટ પર પર્યાવરણ કાર્યકરો સહિત અનેક લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પરવાનગી વિના ભેગા થવા બદલ ઘણા વિરોધીઓની અટકાયત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે સ્વચ્છ હવાનો અધિકાર એ મૂળભૂત માનવ અધિકાર છે. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર આપણા બંધારણ દ્વારા સુનિશ્વિત કરવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ રીતે સ્વચ્છ હવાની માંગ કરી રહેલા નાગરિકો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે?
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દેશમાં વધતા પ્રદૂષણ અને આ મુદ્દા પર વિરોધ કરી રહેલા લોકો સાથે સરકારના વર્તનની ટીકા કરી હતી. સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સ્વચ્છ હવાનો અધિકાર એ મૂળભૂત માનવ અધિકાર છે, પરંતુ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે વાયુ પ્રદૂષણ લાખો ભારતીયોને અસર કરી રહ્યું છે, આપણા બાળકો અને આપણા દેશના ભવિષ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે. પરંતુ વોટ ચોરી મારફતે સત્તામાં આવેલી સરકારને કોઈ પરવા નથી, કે તે આ સંકટને ઉકેલવા માટે કોઈ પ્રયાસ કરી રહી નથી. સ્વચ્છ હવાની માંગણી કરતા નાગરિકો પર હુમલો કરવાને બદલે આપણે હવે વાયુ પ્રદૂષણ પર નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે.




