ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ, AQI 500એ પહોંચ્યો, વિઝિબિલિટી શૂન્ય


દિલ્હીના રહેવાસીઓ આ સમયે હવા અને ધુમ્મસના બમણા મારનો સામનો કરી રહ્યા છે. સોમવારે સવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 500 પર નોંધાયો છે. આ ગંભીર પ્રદૂષણની સાથે ગાઢ ધુમ્મસ છવાયું હોવાથી ITO સહિત ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી (દૃશ્યતા) શૂન્ય થઈ ગઈ છે.
જેમ જેમ દિલ્હીમાં ઠંડી વધી રહી છે, તેમ તેમ AQI સ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. સોમવારે સવારે 6 વાગ્યે દિલ્હીનો સરેરાશ AQI 456 નોંધાયો, જે ‘ખૂબ ગંભીર’ પ્રદૂષણની સ્થિતિ દર્શાવે છે. અશોક વિહાર, રોહિણી, જહાંગીરપુરી અને વજીરપુર જેવા વિસ્તારોમાં તો AQI લેવલ 500 સુધી પહોંચી ગયું છે. ઓછી પવનની ગતિને કારણે દિલ્હી હાલમાં ‘ગેસ ચેમ્બર’ થી ઓછું નથી. આનંદ વિહારમાં AQI 493, નેહરુ નગરમાં 489, ઓખલા અને આરકે પુરમમાં 483, જ્યારે વિવેક બિહારમાં 493 નોંધાયો હતો.
આ પરિસ્થિતિમાં લોકો માટે ખુલ્લી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. આંખોમાં બળતરા અને માથાનો દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે, અને સ્થિતિ એટલી ગંભીર છે કે ઘરોની અંદર પણ ઝેરી હવા અસર કરી શકે છે. દિલ્હીમાં ‘ગ્રૅપ-4’ (GRAP-4) લાગુ હોવા છતાં સ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી.દિલ્હીવાસીઓ ગાઢ ધુમ્મસ અને સ્મોગના બેવડા પ્રહારનો સામનો કરી રહ્યા છે. આજે સવારે 3 મીટર દૂરનું પણ કંઈ દેખાતું નહોતું, જેના કારણે રસ્તાઓ પર વાહનો ધીમી ગતિએ ચાલતા જોવા મળ્યા હતા. રવિવારે પણ દિલ્હીના 39 સક્રિય વાયુ ગુણવત્તા મોનિટરિંગ કેન્દ્રોમાંથી 38માં પ્રદૂષણનું ‘ગંભીર’ સ્તર નોંધાયું હતું. ગત દિવસના 432 AQIથી વધીને આ સ્તર રેકોર્ડ પર પહોંચી ગયું છે, જે એપ્રિલ 2015માં AQI મોનિટરિંગ સિસ્ટમ શરૂ થયા પછીનું સૌથી ઊંચું સ્તર છે.
નિષ્ણાતોની ચેતવણી: બહાર વોક કરવાનું ટાળો
આ પ્રદૂષિત હવાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમો ઊભા થયા છે. આરોગ્ય નિષ્ણાતે ચેતવણી આપી છે કે AQIનું સ્તર 300 થી 400 ની વચ્ચે અને ક્યારેક 450ને પાર કરી જતું હોવાથી, લોકોને ખાસ કરીને સવારના સમયે બહાર ફરવા કે કસરત કરવાનું ટાળવું જોઈએ. તેમણે સલાહ આપી કે શારીરિક પ્રવૃત્તિ બંધ ન કરવી જોઈએ, પરંતુ તે ઘરની અંદર જ કરવી જોઈએ, કારણ કે પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી PM2.5 જેવા સૂક્ષ્મ કણો ફેફસામાં ઊંડે સુધી પ્રવેશી શકે છે. યાદવે લોકોને માત્ર જરૂર પડ્યે જ બહાર નીકળવાની, શ્વાસ લેવાની કસરતો ટાળવાની અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરવા માટે પૂરતું પાણી અને મોસમી ફળોનું સેવન કરવાની સલાહ આપી છે.




