વૈષ્ણોદેવી બ્રિજ પર ભયાનક અકસ્માત , ST બસ–ફોર્ચ્યુનર વચ્ચે ટક્કર, એકનું મોત


રવિવારની વહેલી સવારે અમદાવાદના વૈષ્ણોદેવી બ્રિજ ઓર એક ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે ભારે ટક્કર થઈ હતી અને આ ટક્કરમાં ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. માહિતી મુજબ જે ફોર્ચ્યુનર કારણો કચ્ચરઘાણ વળી ગયો છે તેનો નંબર GJ 18 EF 9 છે અને હિંમતનગરથી રાજકોટ જઈ રહેલી એસટીની બસ સાથે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાને લીધે વહેલી સવારથી જ વૈષ્ણોદેવી બ્રિજ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માત મામલે જે જાણકારી મળી છે તે મુજબ આજે રવિવાર 18 જાન્યુઆરીના વહેલી સવારે સરખેજથી એક ફોર્ચ્યુનર કાર ગાંધીનગર તરફ ફૂલ સ્પીડમાં જઈ રહી હતી અને અચાનક કાર ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દિધો હતો અને વૈષ્ણોદેવી બ્રિજના છેડે કાર પૂર ઝડપે સામેના રોડે હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ સાથે અથડાઈ હતી. ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસની પણ દિશા પણ પલટી દીધી હતી અને એસટી બસ ફંગોળાઈને ડિવાઇડર પર ચઢી ગઈ હતી. આ સમગ્ર અકસ્માત દરમિયાન ફોર્ચ્યુનર કારની પાછળ આવી રહેલી કાર પણ સ્પીડમાં હોવાને લીધે ટકરાઇ હતી. જેના કારણે ફોર્ચ્યુંનર અને બ્રેઝા કારનો કચ્ચરઘાણ થઈ ગયો છે.
વૈષ્ણોદેવી બ્રિજ પર આજે સવારે થયેલા અકસ્માતને લીધે અડધો રસ્તો બંધ થઈ ગયો હતો જેના લીધે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું મોત થયું છે જ્યારે અન્ય યુવતીને ગંભીર ઇજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ છે. આ અકસ્માતમાં અન્ય બે લોકોને પણ ઇજા થતાં સારવાર માટે લઈ જવાયા છે.




