યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વૈશ્વિક સ્તરે હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી, જેના કારણે લાખો મુસાફરો અટવાઈ ગયા હતા. ભારતમાં, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તાત્કાલિક કાર્યવાહી કરી અને ભારતીય એરલાઇન્સને 2 માર્ચ સુધી 11 દેશો (ઈરાન, ઇઝરાયલ, લેબનોન, UAE, સાઉદી અરેબિયા, બહેરીન, ઓમાન, ઇરાક, જોર્ડન, કુવૈત અને કતાર) ના એરસ્પેસ ટાળવાની સલાહ આપી. આ સલાહને અનુસરીને, ઇન્ડિગો, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને સ્પાઇસજેટ જેવી મોટી એરલાઇન્સે મધ્ય પૂર્વ માટે તેમની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી.
ઇઝરાયલ ઇરાનના યુદ્ધ વચ્ચે પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. દુબઇ સહિતના એરપોર્ટ પર પ્રવાસી ફસાયા હોવાના અહેવાલ છે. ગુજરાતના વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદના કેટલાક લોકો પણ યુદ્ધના કારણે દુબઇ અને બેહરીન એરપોર્ટ પર ફસાયા છે. વડોદરાના 500થી વધુ લોકો ઉમરામાં ફસાયા છે. જેદ્દાહ એરપોર્ટ પર પણ વડોદરાના 52 પ્રવાસી અટવાયા છે. દુબઈ અને બહેરીન એરપોર્ટ પર પણ વડોદરાના અનેક લોકો ફસાયેલા છે.




